કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
આજ રોજ કાલોલ તાલુકાની અંબાલા પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. ઉપરાંત, શાળામાંથી જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડનાર એવાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં કાલોલ તાલુકાના પશ્ચિમ વિભાગના કેળવણી નિરીક્ષક ભાવેશભાઈ પટેલ, સી.આર.સી. કો.ઓર્ડીનેટર દિનેશભાઈ,ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નાયબ મામલતદાર મહેશભાઈ,તલાટી કમ મંત્રી બી.ડી.ગોહિલ, ગામના નાગરિક સંજયભાઈ તથા એસ.એમ.સી.ના અધ્યક્ષ, ગ્રામજનો સાથે વાલીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પશ્ચિમ બીટના કેળવણી નિરીક્ષક દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા દ્વારા આયોજીત વિદાય સન્માન સમારોહ નિમિત્તે બાળકોને સ્વાદિષ્ટ તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.વળી, સદર શાળામાં જ અભ્યાસ કરીને આચાર્ય તરીકે કાર્યરત એવા કેશવભાઇએ ગામને ગૌરવ પ્રદાન કર્યું છે તથા આ જ શાળામાં અભ્યાસ કરી શાળામાં જ શિક્ષક તરીકે ફરજ બજાવતાં શિક્ષક શિવલાલભાઇ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમની શોભા વધારી હતી.