કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલમાં એક સમયના પ્રતિષ્ઠિત વેપારી તરીકેની છાપ ધરાવતા અને કાકાના હુલામણા નામથી જાણીતા નરસિંહલાલ મોહનલાલ શાહનું ગત રોજ સમી સાંજે તેમના નિવાસસ્થાને હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. 94 વર્ષની જૈફ વયે તેઓએ ગતરોજ અંતિમ શ્વાસ લીધા હતા.
કુશળ વેપારી અને સ્પષ્ટ વક્તા તરીકેની છાપ ધરાવતા કાકાએ ધી કાલોલ અર્બન કો ઓપરેટિવ બેંકમાં ડાયરેકટર અને મેનેજીંગ ડાયરેકટર તરીકે લાંબો સમય સેવાઓ આપવાની સાથે સાથે ધી કાલોલ લાડ કો ઓપેરેટિવ સોસાયટીમાં પણ ડાયરેકટર તરીકે અને સમાજની પ્રગતી માટે શ્રી દશા લાડ જ્ઞાતિ સમસ્ત, કાલોલમાં પણ કારોબારી સભ્ય તરીકે ઉમદા સેવાઓ આપી હતી.
સહકારી અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાનો સાથે તેઓએ શૈક્ષણિક ક્ષેત્રે તેઓની કામગીરી પ્રશંસનીય રહી હતી. પંચમહાલ જિલ્લામાં આગવી ઓળખ ધરાવતી એમ. એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વ્યસ્થાપક મંડળ ધી કાલોલ અર્બન બેંક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખપદે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવાઓ આપી હતી. આજે વહેલી સવારે વાજતે ગાજતે નીકળેલી તેઓની અંતિમયાત્રામાં કાલોલ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.