એલેમ્બિક ફાર્મા કંપની દ્વારા પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રને 28 ઓક્સિજન કોન્સર્નટ્રેટર્સની સહાય

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઓછા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર ધરાવતા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં ઉપયોગ કરાશે

વૈશ્વિક મહામારી કોવિડ-19 સંક્રમણ સામે લડવા સમગ્ર દેશ એકજૂટ બન્યો છે અને વિવિધ વર્ગો બનતી મદદ કરવા આગળ આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ કોરોના સામેની લડતમાં જિલ્લા વહીવટીતંત્રના હાથ મજબૂત કરવા માટે વિવિધ કંપનીઓ આગળ આવી છે. આ જ શ્રેણીમાં આજે એલેમ્બિક ફાર્મા કંપની તરફથી જિલ્લા વહીવટીતંત્રને 28 ઓક્સિજન કોન્સર્નટ્રેટર્સની મદદ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં આ પ્રકારની મદદ પ્રશંસનીય પહેલ છે અને જિલ્લાને મળેલ આ કોન્સર્નટ્રેટર્સ જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલ્સ, સીએચસી અને પીએચસીમાં ફાળવવામાં આવશે જ્યાં 5 લિટર સુધીની ઓક્સિજનની ડિમાન્ડ ધરાવતા દર્દીઓના લાભાર્થે ઉપયોગમાં લઈ શકાશે. જેનાથી ઓક્સિજનનો વપરાશ ઘટશે અને એક વૈકલ્પિક વ્યવસ્થા મળશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં હોસ્પિટલાઈઝ્ડ દર્દીઓમાં ઓક્સિજન વપરાશમાં વધારો નોંધાયો છે. પંચમહાલના પાનેલાવ ખાતે પ્લાન્ટ ધરાવતી એલેમ્બિક ફાર્માના સિનિયર લાઈઝન ઓફિસર શ્રી અશોક પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે કોવિડ-19 એક વૈશ્વિક મહામારી છે અને તમામના સહયોગથી જ કોરોનાને હરાવી શકાશે. કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના ભાગરૂપે આ પ્રકારની પ્રવૃતિઓ અમે સતત કરીએ છીએ, જે હેઠળ આજે ગોધરા જિલ્લા સેવાસદન ખાતે આ 28 ઓક્સિજન કોન્સર્નટ્રેટર્સ આપ્યા છે. કોવિડ સામેની લડાઈમાં સહયોગ આપી શકવાનો અમને સંતોષ છે અને આગળ પણ આ પ્રકારની કામગીરી અમે ચાલુ રાખીશું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા તેમજ એલેમ્બિક કંપનીના વરિષ્ઠ અધિકારીઓ શ્રી સંજય ભટ્ટાચાર્ય, શ્રી આનંદ દેસાઈ અને શ્રી નવનીત રાજપૂત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here