ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
આઈ.ટી.આઈ. જામકંડોરણા અને ધોરાજીના સંયુક્ત ઉપક્રમે જામકંડોરણાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર મદદનીશ અધિકારી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં તાલીમ સંસ્થા દ્વારા તાલીમ મેળવ્યા બાદ રોજગારી તેમજ વ્યવસાયલક્ષી નવી તકો, સરકારશ્રીના અનુંબંધમ પોર્ટલ અંગેની માહિતી અને સરકારશ્રી દ્વારા વખતોવખત મળતી સબસિડી તરીકેની સહાય તેમજ જુદી-જુદી વ્યવસાયલક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઓદ્યોગિક સાહસમાં કોઈ પણ ઉદ્યોગ થકી સ્થાનિક લોકો અને સ્થાનિક બજારને વધુને વધુ સામેલ કરી તેમને આર્થિક રીતે સધ્ધર કરી શકાય, તેઅંગેની માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી. આ સેમિનારમાં રોજગાર કચેરીના અધિકારીશ્રી રાજેશભાઈ ચૌહાણ, અલ્તાફભાઈ દેરૈયા સહીત આઈ.ટી.આઈ. પ્રિન્સિપાલ શ્રી કે. વી. વાઘમશી તેમજ ફોરમેનશ્રીઓ, ઈન્સ્ટ્રકટરશ્રીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.