મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમારા જેવા અનેક લોકોને ઘર મળ્યા છે. અને કાચા મકાન માંથી પાકું મકાન બન્યું છે, સરકારનો આભાર માનીએ છીએ : મારીવાડ લાલાભાઈ (લાભાર્થી )
એક સામાન્ય વ્યક્તિ માટે પોતાની માલિકીનું ધર હોવું આર્થિક રીતે મોટુ મહત્વ ધરાવે છે.તેનાથી સામાજીક સલામતીનો અનુભવ થાય છે,સાથે સાથે તેનો મોભો પણ વધે છે.માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે.
અરવલ્લીના માલપુર તાલુકાના આંબલીયારા ગામના મારીવાડ લાલાભાઇને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ થકી મકાન મળ્યું છે. લાલાભાઇના પુત્ર જણાવે છે, પહેલા જુનુ મકાન જર્જરીત હતું પરંતુ સરકારશ્રીના પીએમએવાય(ગ્રા)-યોજનાના લાભ મળતા અમારુ વર્ષ ૨૦૨૧-૨૨માં પાકુ મકાન બનાવવામાં મદદ મળી છે. જેમાં અમને મકાન બાંધકામ માટે રૂપિયા ૧,૨૦,૦૦૦/- મકાનના બાંધકામ પુરુ થતા હપ્તા અનુસાર મળ્યા છે. સરકારશ્રીના લાભ દ્વારા અમે અમારા સપનાનું ઘર બાંધી શક્યા છીએ. મકાનમાં રસોડા, રૂમ, શૌચાલય, બાથરૂમ, આંગણું, હોલનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે. જેના માટે અમે સરકારશ્રીના જીવનભર આભારી રહીશું.”
રાજ્યમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવારોના ઘર નથી, અથવા કાચા અને જર્જરિત મકાન છે તેઓને આવાસ નિર્માણ હેતુથી સહાય આપવાના છે.
અરવલ્લી જિલ્લામાં અનેક લોકોનું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તેના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓના સંકલન દ્વારા શૌચાલય, પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે.આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભની સાથે-સાથે વિજ કનેકશન, ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન,સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય અને બાથરૂમ, આમ અન્ય સરકારી યોજનાના સાથે વિવિધ લાભો અને સહાય આપવાથી અરવલ્લી જિલ્લાના તમામ લાભાર્થીઓના જીવનધોરણ ઉપર લાવવામાં અને ખરા અર્થમા વંચિત પરિવારો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.