એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-
સોમવારે આવતા તહેવારો ના દિવસોમાં મિનિ વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને SoUADTGA દ્વારા વ્યાપક હિતમાં નિર્ણય – ગોપાલ બામણીયા,અધિક કલેકટર SoUADTGA
વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે,SoUADTGAના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ તા. ૧૭/૦૬/૨૦૨૪, બકરી ઇદ પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે.
સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રક્લ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને SoUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર,રવિવાર અને સોમવારના મિનિ વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસિય પ્રક્લ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય.
તા. ૧૭/૦૬/૨૦૨૪, બકરી ઇદ પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને તેના બીજા દિવસે તા. ૧૮/૦૬/૨૦૨૪, મંગળવારના રોજ તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને પોતાના પરિવાર સાથે એકતા નગર ખાતે તહેવાર ઉજવી શકે તે ૧૭/૦૬/૨૦૨૪,સોમવારના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે જેથી મિની વેકેશનનો લાભ મળી શકે.
પ્રવાસીઓ એ ઉપરોક્ત દિવસો દરમ્યાન સોમવારે પોતાની ટિકિટ એકમાત્ર અધિકૃત વેબસાઈટ www.soutickets.in થી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરવું.