ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રૂ. ૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ જે ખેડૂતોને પી. એમ. કિસાનની સહાય મળતી બંધ થઈ ગઈ હોઈ તેમણે ફરજીયાત પોતાના પી.એમ.કિસાન એકાઉન્ટમાં આ ત્રણ કામ કરાવવા જરૂરી છે.
(૧) લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી
(૨) બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ
(૩) પી.એમ.કિસાન પોર્ટલ પર ઈ-કે.વાય.સી. કરાવવું
ઉપર જણાવેલ ત્રણ વિગત અપડેટેડ છે કે નહી, તે ખેડૂત જાતે પી.એમ. કિસાન વેબસાઈટ પર જઈને ચેક કરી શકે છે અથવા ગ્રામપંચાયતના વી.સી.ઈ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકે છે. જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો નીચે મુજબ કાર્યવાહી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૧. લેન્ડ સીડીંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે ગામના ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવો.
૨. બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોઈ તે બેંકનો સંપર્ક કરી શકો અથવા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો.
3. ઈ-કે.વાય.સી. કરાવવા માટે આપના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામની ગ્રામ પંચાયત વી.સી.ઈ.નો સંપર્ક કરીને કરી શકો.
આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી અને વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી)નો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિ.સી.ઈ. અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.