માસ્ક નાકના નીચેના ભાગ સુધી જ પહેર્યું હોય અથવા માસ્ક ન પહેર્યું હોય તેવા તમામ લોકો સામે નિયમાનુસારની જરૂરી કાર્યવાહી સાથે દંડની વસુલાત થાય તે જોવા જિલ્લા કલેક્ટરશ્રીની સુચના.
જિલ્લામાં પોઝિટવ કેસવાળા તમામ કન્ટેનમેન્ટ વિસ્તારમાં સેનીટાઇઝેશન, માસ સેમ્પલીંગ, સર્વેલન્સ સહિતની આઇ.ઇ.સી પ્રવૃત્તિ સહિતની કામગીરી સઘન બનાવવાં શ્રી કોઠારીનો અનુરોધ
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે નોવેલ કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે યોજાઇ બેઠક
રાજપીપળા ,(નર્મદા)
આશિક પઠાણ
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે હાલમાં નોવેલ કોરોના વાયરસ covid-19 ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં જિલ્લાના પ્રજાજનોને માસ્ક પહેરવાં અને સોશિયલ ડિસ્ટન્સીગં જાળવવાની સાથો-સાથ અમલીકરણ અધિકારીશ્રીઓને પણ તેનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ કોરોના મહામારીના સંક્રમણથી પોતાને અને પોતાના કુટુંબીજનોને સુરક્ષીત રાખવા ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકવા, તમામ જગ્યાએ ૬ ફુટના અંતરનું પાલન કરાવવાની સાથોસાથ જિલ્લાના કોઇપણ વિસ્તારમાં લોકોએ માસ્ક નાકના નીચેના ભાગ સુધી જ પહેર્યું હોય અથવા માસ્ક ન પહેર્યું હોય તેવા તમામ લોકોની સામે નિયમાનુસારની જરૂરી કાર્યવાહી સાથે દંડની વસુલાત થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સુચના આપવાની સાથે માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. તેમણે ગઇકાલે જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના પોઝિટીવ દરદીઓની હિસ્ટ્રીની પણ જાણકારી પણ મ.ળવી હતી.
વધુમાં શ્રી કોઠારીએ જે વિસ્તારોમાં પોઝિટીવ કેસો નોંધાયેલ છે તેવા તમામ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સેનીટાઇઝેશન કરવા, માસ સેમ્પલીંગની કામગીરી વધારવા, સધન સર્વેલન્સ કરવાં, આઇ.ઇ.સી વધુમાં વધુ કરવાં તેમજ આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથી આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી દવા ધન્વંતરી રથ થકી લોકો સુધી મળી રહે તે માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવાની જરૂરી સુચના પણ તેમણે આપી હતી.
આ બેઠકમાં રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી જ્યશેભાઇ પટેલ, જિલ્લા એપીડેમીક મેડીકલ ઓફીસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. નેહા પરમાર સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.