મંજૂર થયેલી તમામ યોજનાઓ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ
જલ જીવન મિશન અંતર્ગત જીલ્લાના તમામ ધરોને 100% નળ દ્વારા પાણી પુરુ પડાશે
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક
રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ
નર્મદા જીલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના 28 ગામોના કુલ- 1873 ઘરોને આવરી લેતી રૂ.4.82 કરોડ ના ખર્ચની પીવાના પાણીની ગ્રામિણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
ઉક્ત બેઠકમાં મંજૂર કરાયેલી પીવાના પાણીની પેયજળ યોજનામાં જિલ્લાના સાગબારા તાલુકાના નાની મોગરી, પાડા, નાલાકુંડ, કુંવરખાડી, મોટી મોગરી, ગરૂડેશ્વર તાલુકાના કુંભીયા, વાલપોર, વેલછંડી, ધામદરા, જુનવદ, નાના ઝુંડા, ડેડીયાપાડા તાલુકાના ગોલવાણ, આંબાદેવી સીયાલી, બરસાણ, રેલ્વા, મોસ્કુવા, કાબરી પઠાર, તિલકવાડા તાલુકાના સુરજીપુરા, કાટકોઇ, કંથરપુરા, અલવા અને નાંદોદ તાલુકાના જુના રાજુવાડીયા, ધમણાચા, થરી, હાંડી, ધોચકી, છટવાડા, દઢવાડા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.
સમિતિના ઉપાધ્યક્ષશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલિયમ, જિલ્લા આયોજન અધિકારશ્રી મકવાણા, પ્રાયોજના વહીવટદારશ્રી બી. કે. પટેલ, સમિતિના સભ્ય સચિવશ્રી અને જિલ્લાના કાર્યપાલક ઈજનેરશ્રી(વાસ્મો)શ્રી વિનોદ પી પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે. પી. પટેલ, જિલ્લાના પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી આર. એ. પટેલ, સિંચાઇ વિભાગ, ઉપરાંત વાસ્મોના જીલ્લા કો-ઓર્ડીનેટરશ્રી તથા વાસ્મોના અન્ય પ્રતિનિધિઓ સહિત વગેરે વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી દ્વારા જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત પેયજળ યોજના ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવાનો અમલીકરણ અધિકારીશ્રીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં કલેક્ટર કોઠારીએ કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી યોજનાની તાલુકા મુજબ સમીક્ષા કરાઇ હતી તથા 100 % નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરેલ આયોજન મુજબ સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા હિમાયત કરી હતી.