શહેરા તાલુકા અને નગરમાં થઈ અત્યાર સુધીમાં ૧૫ જેટલા કોરોના સંક્રમિતો નોંધાયા છે
૧૫ પૈકી શહેરા નગરમાં બીજો કોરોના સંક્રમીતનો કેસ નોંધાયો છે
શહેરા(પંચમહાલ), તા. 28/07/2020
ઇમરાન પઠાણ
શહેરા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા સિવિલમાં સારવાર માટે ખસેડાયા જ્યારે ઘરના ૪ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.
શહેરા તાલુકા અને નગરમાં થઈ અત્યાર સુધીમાં ૧૫ જેટલા કોરોના સંક્રમિતો નોંધાયા છે જેમાં ૧ કોરોના સંક્રમિતનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ૧૫ પૈકી શહેરા નગરમાં બીજો કોરોના સંક્રમીતનો કેસ નોંધાયો છે, જેમાં શહેરા કુંભારવાડા વિસ્તારમાં રહેતા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ૫૫ વર્ષીય રૂપચંદભાઈ ઓડરમલ સેવકાણીનો કોવિડ ૧૯ નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલ દર્દીને ૨૪મી જુલાઈથી શરદી, ખાંસી, તાવ અને ગળામાં દુઃખાવાની તકલીફ હોવાથી તેઓએ શહેરામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે દવા સારવાર કરાવી હતી, પરંતુ તેનાથી આરામ ન થતા અને તકલીફમાં વધારો થતાં ૨૭મી જુલાઈ સોમવારના રોજ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી તપાસ માટે ગયા હતા જ્યાંના ફરજ પરના તબીબે ગોધરા સિવિલ હોસ્પિટલમાં જઈ કોરોનાનું પરીક્ષણ કરવાનું કહેતા ૧૦૮ દ્વારા તેઓને લઈ જવામાં આવ્યા જ્યાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને ત્યાંજ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આ તરફ રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ભરત ગઢવી, ડૉ.દિપક ભરવાડ અને ટિમ દ્વારા ત્યાં સર્વે હાથ ધરાયો હતો અને લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને પરિવારના ૪ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિતનું નિદાન થયું એ પહેલાં તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે.તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી જોઈએ અથવા તેઓ ક્યાંથી સંક્રમિત થયા હશે એ જોઈએ તો તેઓ વ્યવસાય દાહોદ ખાતે ધરાવે છે અને તેઓને ધંધાર્થે આવન જાવન રહેતી હોય અને હાલમાં દાહોદની સ્થિતિ ખૂબ ગંભીર છે ત્યાં લગભગ ૩૦૦ જેટલા કોરોના સંક્રમિતોના કેસ નોંધાયેલા છે અને તેઓ ત્યાંથી સંક્રમિત થયા હોય એવું માનવામાં આવી રહ્યું છે.