ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
તમામ નગરપાલિકાઓમા તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૫ લાખ તિરંગાની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી,વડોદરા હસ્તકની વડોદરા, છોટાઉદપુર, પંચમહાલ, દાહોદ,મહિસાગર અને આણંદ મળી ૬ જિલ્લાની ૨૬ નગરપાલિકાઓમા ૧.૫૦ લાખ તિરંગાની ફાળવણી કરવામાં આવી છે.
પ્રાદેશિક કમિશનર (નગરપાલિકાઓ) શ્રી એસ.પી.ભગોરાના માર્ગદર્શન હેઠળ તમામ ૨૬ નગરપાલિકાઓમાં તિરંગા પહોંચાડી દેવામાં આવ્યા છે.
આ અંગે વધુ વિગતો આપતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે સરકારમાંથી મળેલ સૂચના મુજબ દરેક નગરપાલિકાઓમાં વિનામૂલ્યે તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે. નગરપાલિકાઓમાં પ્રમુખ, વહીવટદાર,ચીફ ઓફિસર,પદાધિકારીઓ તથા સ્ટાફ આ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત વડોદરા ઝોનની તમામ ૨૬ નગરપાલિકાઓમા તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ નગર પાલિકાઓમાં હાલ મેરી માટી મેરા દેશના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમોનુ સંકલન પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના ચીફ ઓફિસર અશ્વિન પાઠક તથા કચેરીના કર્મચારીઓ કરી રહ્યા છે.