મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
આંખો આવે, લાલ થાય, દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા
ડોકટરની સલાહ લીધા વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી
પરીવારના કોઈ સભ્યને કંઝક્ટિવાઈટિસની અસર થઈ હોય તો તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી
વાઇરલ કંઝક્ટિવાઈટિસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી
અરવલ્લી જીલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્ઝક્ટિવાઈટિસના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ અરવલ્લી જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ, ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે. આંખો આવે તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ. ચેપ ધરાવતા દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ- ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે, આંખો આવે, લાલ થાય, દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાંતરે હાથ અને મોં ધોવા, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ અવર-જવર ટાળવી જોઈએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી. ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે. પરિવારના કોઈ સભ્યને અસર થઈ હોય તો પોતાનો હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ, વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી.