ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાના કા.કુલસચિવશ્રી, ડૉ. અનીલ સોલંકી તથા મીડિયા કન્વીનરશ્રી ડૉ. અજય સોની જણાવે છે કે, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, માન. કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૧૧/૨૦૨૨ થી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની વિજ્ઞાન, વિનયન, વાણિજ્ય અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક તથા અનુ-સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-૩ એ સેમેસ્ટર-૫ ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે.
આ પરીક્ષામાં વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૨૧ અભ્યાસક્રમોની પરીક્ષાઓ કુલ ૭૫ પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે સેશનમાં આયોજિત કરવામાં આવેલ હતી, જેમાં કુલ ૨૬૮૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી.
આ પરીક્ષાઓ દરમિયાન કુલપતિશ્રી દ્વારા સવિશેષ તકેદારીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સિટી ઓબ્ઝર્વર નીમવામાં આવેલ હતા જેઓએ સીધાજ યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહી પરીક્ષા કેન્દ્ર ખાતેની પરિસ્થિતિનું મોનીટરીંગ તેમજ રીપોર્ટીંગ કરેલ, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીની પરીક્ષાઓ સમય મર્યાદાઓમાં અને વિધાર્થીઓના હિતમાં સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત તેમજ સચોટ રીતે લઈ શકાય તે માટે કુલપતિશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો અને યુનિવર્સિટીની ટીમ શિસ્તબધ્ધ રીતે અને સમયાધીન રાત-દિવસ કાર્યરત છે. કુલપતિ કા.કુલસચિવશ્રી, યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યશ્રીઓએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાની ગરિમા જળવાય તે પ્રકારે વર્તણુક કરવા વિનંતી કરેલ છે સાથે-સાથે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમ કા કુલસચિવ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.