પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ…

ગોધરા,(પંચમહાલ)
સાદિક ચાંદા

પાનમ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા સીમલેટ બેટ પર વિનામૂલ્યે અનાજ વિતરણ કેમ્પ યોજાયો

કુલ ૧૪૨૮ કિલો ઘઉં અને ૬૧૨ કિલો ચોખાનું વિતરણ કરાયું

“કોરોનાના કારણે મોદી સાહેબે ઘર બહાર જવાની ના પાડી છે ત્યારે આજે અમને બેટ પર જ અનાજ આપવાના છે તો અમને ઘણી રાહત રહેશે…” પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ચારે બાજુ પાણીથી ઘેરાયેલા સીમલેટ બેટના રહેવાસી કાળીબેન મંગળાભાઈ પટેલિયા પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બેટ પર યોજાયેલા વિનામૂલ્યે અનાજ વિતરણ કેમ્પ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવે છે. પાણીની વચ્ચે એકલા અટૂલા વસેલા સીમલેટ ડેમ પર આશરે ૬૦૦ જેટલા લોકો વસે છે. મોટાભાગના પરિવારો ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ કરે છે તેમ જ યુવાન વ્યક્તિઓ મજૂરી અર્થે બહારગામ પણ જાય છે. આ પરિવારો પોતાની દરેક જરૂરિયાત માટે, ખરીદી માટે દોઢ કિલોમીટર દૂર આવેલા મહેલાણ ગામ ઉપર નિર્ભર છે. ત્યાં જવા માટે સીમલેટવાસીઓ બોટનો ઉપયોગ કરે છે. હાલ, લોક ડાઉન દરમિયાન કોઈ પણ વ્યક્તિને દૈનિક રાશનની તકલીફ ન પડે તે માટે હાલ એન.એફ.એસ.એ. અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ પરીવારો માટે વિનામૂલ્યે અનાજનું નિયમિત વિતરણ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિતરણ ચાલી રહ્યું છે, ત્યારે સીમલેટના ગ્રામજનોને અનાજ માટે મહેલાણ સુધી જવું ન પડે તે માટે જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા બેટ ખાતે અનાજ વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં કુલ ૩૬ કુટુંબોના ૨૦૪ લોકોને પ્રતિ વ્યક્તિ સાત કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા તેમ જ રેશનકાર્ડ દીઠ ૧ ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરિત કરાયેલા અનાજની ગુણવત્તાને સારી ગણાવતા પટેલિયા શનાભાઇ મોચીભાઈએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં ચારેબાજુ પાણીથી ઘેરાયેલા અમારા ગામમાંથી મહેલાણ જવાનું ખાસ થતું નથી ત્યારે અહીં અનાજ વિતરણનો કેમ્પ કરીને સરકારે અમારું કામ સરળ કરી નાખ્યું.
વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ તેમ જ સેનેટાઇઝર, માસ્ક સહિતની તકેદારીઓ રાખવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નેહા રાજપૂત અને શહેરા મામલતદારશ્રી મેહુલ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં તારીખ ૧૭ મે, ૨૦૨૦થી થઈ રહેલા એન.એફ.એસ.એ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભ મેળવવા પાત્ર થતા ૨,૧૩,૧૭૫ લાભાર્થી પરિવારો પૈકી ૧,૨૦,૪૧૧ લાભાર્થી પરિવારોને એટલે કે મળવાપાત્ર લાભાર્થીઓ પૈકી ૫૬.૩૩ ટકા લાભાર્થીઓને અનાજ વિતરણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે જિલ્લાના ૯૪૦૨ નોન એન.એફ.એસ.એ બીપીએલ લાભાર્થી પરિવારો પૈકી ૩૦૨૦ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here