ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
શારિરીક-માનસિક પ્રકારની દિવ્યાંગતા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મેળવી શકાશે
મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના શારીરિક ખોડખાંપણ- માનસિક રોગ ધરાવતા, નેત્ર હિનતા કે મૂક બધિરતા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તબક્કાવાર રીતે જિલ્લાના તમામ સાતેય તાલુકાઓમાં આ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત તા. 20 ઓક્ટોબર, બુધવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, હાલોલ ખાતે, તા. 22 ઓક્ટોબર, શુક્રવારના રોજ જનરલ હોસ્પિટલ, ગોધરા ખાતે, તા. 27 ઓક્ટોબર, બુધવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કાલોલ ખાતે, તા. 29 ઓક્ટોબર, શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘંબા ખાતે, 10 નવેમ્બર, બુધવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર-શહેરા ખાતે, તા.12 નવેમ્બર, શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર-જાંબુઘોડા ખાતે, 17 નવેમ્બર, બુધવારના રોજ સામાન્ય આરોગ્ય કેન્દ્ર-મોરવા (હ) ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે 10.00 થી 02.00 કલાકનો રહેશે. પ્રમાણપત્ર મેળવવા માટે કેમ્પમાં આધાર કાર્ડની 1 ઝેરોક્ષ, રેશનકાર્ડની 1 ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝના 3 ફોટોઝ, ઓરિજનલ રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો લાવવાના રહેશે. આ દિવસો સિવાય જિલ્લાની જનરલ હોસ્પિટલ, ગોધરા ખાતે દર બુધવારે તમામ પ્રકારના અપંગતાના પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમ આ યાદીમાં જણાવાયું છે.