શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
શહેરા તાલુકાની જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે મહાત્મા ગાંધીની 154 મી જન્મ જયંતી નિમિત્તે શાળા પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. તેમાં મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ તેમજ સત્ય, અહિંસા અને સેવા સંદર્ભે શાળા આચાર્ય સુશીલાબેન પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ.કલ્પેશ આર.પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શાળાનું પટાંગણ, બાગ બગીચો, સેનિટેશન પીવાના પાણીના ટાંકા, આર.ઓ. પ્લાન્ટ, વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, ભાષા કોર્નર, પુસ્તકાલય તેમજ અન્ય શૈક્ષણિક સંકુલના વિવિધ વિભાગોમાં સફાઈ કરવામાં આવી હતી. સફાઈ દરમિયાન મળેલ કચરાનું સેન્દ્રીય ખાતર બનાવવા માટે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હાથ ધરી તેને નિયત કરેલ ખાડામાં નાખવામાં આવ્યું હતો. તે તૈયાર થયા પછી તેનો ઓર્ગેનિક ખેતીમાં સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર ભાનુભાઈ પટેલ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોર, રણજિતસિંહ બારીઆ, વિદ્યાર્થીઓ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો જોડયા હતા. આ કાર્યક્રમ શાળા કક્ષાએ નિયમિત કાર્યરત રાખવા સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.