ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
કાલે વડાપ્રધાન મોદી જામકંડોરણા ખાતે આવી રહ્યા છે ત્યારે વિશાળ બેનરો મૂકવામાં આવ્યા છે અને લોકો માટે મોટા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે. જામકંડોરણાના મુખ્ય ગેટ પર છોટે સરદારના નામ સાથે વચ્ચે સ્વ. વિઠ્ઠલભાઈનો ફોટો તથા ઉપર બંને તરફ સિંહના ફોટા મુકવામાં આવ્યા છે. સભા સ્થળે પહોંચતા પહેલા જ ૫ કિ.મી રસ્તાની બંને બાજુ વડાપ્રધાન મોદી, જયેશ રાદડિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મોટા-મોટા બેનર જોવા મળ્યા. વીજ પોલોને તિરંગાથી રંગી દેવામાં આવ્યા છે. જામકંડોરણામાં દિવાળી હોય તેમ આખું નગર ઝગમગી ઉઠ્યું છે. ક્યાંય પણ કચરો ન મળે તેવી સફાઈ કરવામાં આવી છે. દોઢ કલાકમાં ૧ લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ ૧૮ ટન મોહનથાળ અને ૧૩ ટન રોટલી બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબુકી ચુક્યા છે. ભાજપના જોરને નબળું પાડવા આમ આદમી પાર્ટી બરાબરની કમર કસી રહી છે. ત્યારે થર્ડ પાર્ટી હોમસ્ટેટમાં ઘર કરી ન જાય તે માટે ખુદ વડાપ્રધાન મોદીને દિલ્હીથી ધક્કા ખાવા પડી રહ્યા છે. ૧૧ ઓક્ટોબરે જામકંડોરણામાં રાદડિયાના ગઢમાં જાહેર સભાને સંબોધવા માટે આવી રહ્યા છે. જેને મોદીનો મેગા શો ગણવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓનો મેળાવડો અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. સભા બાદ દોઢ લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેની તૈયારીઓ માટે ભાજપની ટીમ સાતાત દોડતી નજરે પડી હતી. દોઢ લાખ લોકોના શક્તિ પ્રદર્શન સાથે જમણવાર થશે. આ માટે ઘીના ૨૫૦ ડબ્બામાંથી ૧૮ ટન મોહનથાળ બનાવવાની ૨ દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.