નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
કોસ્મો ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા યોજાતી પ્રવેશ પરીક્ષા અંગે ગ્રામીણ બાળકો માટે પ્રવેશ પરીક્ષા માર્ગદર્શન વર્ગોનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશ મેળવનાર કરજણ તાલુકાનાં ૫૬ ગ્રામીણ બાળકોને કોસ્મો ફાઉન્ડેશન દ્વારા નિષ્ણાંત માર્ગદર્શક શિક્ષકો ધ્રુવ કાછીયા (Msc/B.Ed) અને ભુતપૂર્વ વિદ્યાર્થીની રીચા પટેલ (Bsc/B.Ed)નાં સહયોગથી દરરોજ ૧ કલાક ઓનલાઈન અને અઠવાડિયામાં ૨ દિવસ ઓફ લાઈન માધ્યમથી રીસોર્સ મટેરિયલ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
નવોદયના વર્ગો દ્વારા વિદ્યાર્થીઓની માનસિક દક્ષતા, અંક ગણિત, ગુજરાતી ભાષા અર્થગ્રહણ, બહુવિધ પ્રકારનું જ્ઞાન સર્જનનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનાથી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટેની એક અનોખી સ્કીલ વિકસવામાં આવી.
આગામી ૨૦ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ યોજાનાર જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાને ધ્યાનમાં લઇ બાળકો અને તેમના વાલીઓને પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા ઓન લાઈન વાલી બેઠક યોજવામાં આવી. કરજણ તાલુકાના ૩૫ વાલીઓએ સહભાગી બની નવોદયનાં વર્ગો થકી પોતાના બાળકો નવા વિષયો, પદ્ધતિઓ અને આત્મવિશ્વાસ કેળવતા કેવી રીતે શીખ્યા તે અંગે પોતાના અભિપ્રાયો રજુ કર્યા.
નવોદય વર્ગની વિદ્યાર્થીની જાન્વી ચેનવાનાં પિતા અને કોસ્મો ફાઉન્ડેશનશનન કાર્યકર પ્રવીણ ચેનવાએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે “નવોદયનાં વર્ગનાં કારણે બાળકોનો માત્ર શૈક્ષણિક વિકાસ નહિ પરંતુ સર્વાંગી વિકાસ જોવા મળે છે. માનસિક દક્ષતા અને અંક ગણિતનાં ગુઢ પ્રશ્નો થકી તેઓની વૈચારિક શકિતનો વિકાસ થયો છે, ઓન લાઈન પ્લેટફોર્મ પર વર્ગોનાં આયોજનથી બાળકોમાં ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા શિક્ષણ મેળવવાની સ્કીલમાં ખુબ જ બદલાવ જોવા મળે છે.
કોસ્મો ફાઉન્ડેશનનાં અથાગ પરીશ્રમ થકી કરજણ તાલુકાના ગ્રામીણ બાળકો ખુબ જ પ્રગતી કરી રહ્યા છે.