બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે ટાવર પ્રસ્થાપિત કરવા ગામતળની જમીન ભાડાપટ્ટે આપવા ગુજરાત રાજ્ય વિકાસ ચેરિટી કમિશ્નરે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીને પરિપત્ર કરી સૂચના આપી છે.ગુજરાત રાજ્યના જિલ્લાઓ અરવલ્લી, ભરૂચ,બોટાદ, છોટાઉદેપુર, ડાંગ જામનગર, કચ્છ, મહીસાગર,નર્મદા,નવસારી,પાટણ,સાબરકાંઠા,સુરત, તાપી, વલસાડ, પંચમહાલ, સુરેન્દ્રનગર,સાબરકાંઠા, અમરેલી, દાહોદ, દેવભુમી દ્વારકામાં ૨૩૩ જગ્યાઓએ મોબાઈલ કનેક્ટિવિટી અંગે અવારનવાર ફરિયાદ ઉઠવા પામી હતી.જેના નિવારણ માટે બીએસએનએલ ઘ્વારા ૨૩૩ જગ્યાઓએ સર્વે હાથ ધરી હતી.પરંતુ ૨૩૩ જગ્યાઓ પર મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા ગ્રામ પંચાયતોએ સહકાર ન આપતા મોબાઈલ ટાવર પ્રસ્થાપિતનો પ્રશ્ન હલ થયો ન હતો.જિલ્લામાં ૨૫ એપ્રિલના રોજ યોજવામાં આવેલ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લાના ચૂંટાયેલ પ્રતિનિધિઓએ મોબાઈલ કનેક્ટિવિટીનો પ્રશ્ન ફરી ઉપસ્થિત કર્યો હતો.જેમાં ગુજરાત રાજ્ય વિકાસ ચેરિટી કમિશ્નરે ૧ લી મે ના રોજ તમામ ૨૧ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પરિપત્ર કરી સબંધિત ગ્રામ પંચાયતોમાં આવેલી ગામતળની જમીન, ગૌચરની જમીનની લગત, કાયદાકીય,ઠરાવ અને પરિપત્રોને ધ્યાને લઇ બીએસએનએલને ભાડાપટ્ટે આપવા જણાવાયું છે.ગ્રામ પંચાયત તલાટી,સરપંચોને વહેલીતકે ઠરાવ કરી ભાડાપટ્ટે બીએસએનએલને ફાળવવા જરૂરી સૂચના આપવા તમામ જિલ્લા વિકાસ અધિકારીને જણાવવા જણાવાયું છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે ટાવર પ્રસ્થાપિત કરવા ગામતળની જમીન ભાડાપટ્ટે આપવા ગુજરાત રાજ્ય વિકાસ ચેરિટી કમિશ્નરે તમામ ૨૧ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને પરિપત્ર કરી સૂચના આપી છે.