કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
તાજેતરમાં જમ્મુ કાશ્મીર સંલગ્ન લદ્દાખ ક્ષેત્રમાં આવેલી ભારત અને ચીન વચ્ચેના ગલવાન સરહદી વિસ્તારના વિવાદમાં ચીની સૈનિકોએ કરેલા ઘાતકી હુમલામાં ૨૦ જેટલા ભારતીય સેના જવાનો શહીદ થવાને પગલે ચીનના આ કાયરતાપૂર્ણ હુમલાનો વિરોધ દેશભરમાં ગુંજી ઉઠયો છે, જે અંતર્ગત રવિવારે સવારે કાલોલ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (પ્રખંડ) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ડેરોલસ્ટેશન રોડ પર શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ચીનની હરકતો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે કાર્યકમ મુજબ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ચાઈનીઝ ડ્રેગનનું પ્રતિકાત્મક દહન કરી ચીનને પાઠ ભણાવવા માટે દેશભક્તિની દાઝથી ચીની બનાવટની ચીઝ વસ્તુનો સદંતર બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે શપથ લીધા હતા. આ સાથે ચીનની કાયરતાપૂર્ણ હરકતોના વિરોધને પગલે સ્થાનિક લોકોએ પાકિસ્તાનની જેમ ચીનને પણ તેની હરકતોનો વળતો જવાબ આપવા માટે ભારતીય સેના અને સરકાર તરફથી યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરવાની દેશભાવના પણ વ્યક્ત કરી હતી.