કરુણા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૧૯ ટીમો ઘાયલ પશુ-પક્ષીઓની સારવારમાં જોડાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આવો,પતંગના દોરાથી ઈજાગ્રસ્ત પામતા પક્ષીઓને બચાવીએ

મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ જાણો

ઈજાગ્રસ્ત પક્ષીનો જીવ બચાવવા પક્ષી બચાવો અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરીએ

પક્ષી ખુબ જ કોમળ અને ગભરું જીવ છે.ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દુરથી પક્ષીનું થોડા સમય માટે નીરીક્ષણ કરો.પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નમી જવી, પગ ઉપર વજન ન મુકવું વગેરે ચિન્હો પરથી પક્ષીની સ્થિતિનો કયાસ કાઢી શકાય છે. કુદરતમાં વિહરતા પક્ષી મનુષ્યથી દુર રહેતા હોય, માનવના સંપર્કમાં આવે ત્યારે ખુબ જ પરેશાન થાય છે અને આઘાત અનુભવે છે.પક્ષીને થયેલ ઇજામાં વધારો ન થાય તે માટે કાળજી રાખવી આપણી સૌ કોઈની જવાબદારી બને છે.

૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે આપણે હોંશે હોંશે પતંગ તો ફરકાવતા હોઈએ છીએ પરંતુ આપણી પતંગના દોરાથી કેટલું નુકશાન થાય છે તે તમે જાણો છો.પક્ષીઓ,મનુષ્યો,પ્રદૂષણ સહિત અનેક હાનીઓ અને ગેરલાભ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવી એ પણ આપણા સૌ કોઈની જવાબદારી બને છે. ઈજાગ્રસ્ત પક્ષીને પકડવા સમયે પકડનાર અને પક્ષીની સલામતી પણ ખુબજ મહત્વની છે.

પક્ષીને ગમે તેવી ઇજા થયેલ હોય તો પણ તેની શક્તિ મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. પક્ષીને પોતાનો બચાવ કરવા સામાન્ય રીતે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરવા અને પાંખો ફફડાવતા હોય છે. જેથી ઇજા ન થાય તે માટે સજાગ રહો. જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક બરાબર પકડો. શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબૂત મોજા પહેરવાથી નહોરની ઇજામાંથી બચી શકાય છે.

મોટાભાગના પક્ષીને સમાન રીતે પકડી શકાય છે. માથા અને શરીર પર જાડું કપડું નાખી ઢાકી દઇને પકડો. પક્ષીના કદ અને જાત મુજબ કપડું પાતળું કે જાડું વાપરી શકાય.પક્ષીને ગમે તેવી ચપળતાથી અને સારી રીતે પકડવામાં આવે તો પણ આઘાત અનુભવે છે. પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણકારની મદદ લો. પક્ષી પકડવામાં જેમ સમય વધુ લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો.

ઈજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડું પાથરેલ અને કાણા પાડેલ પૂઠાના ખોખા કે પ્લાસ્ટીકના બોકસમાં રાખો. ખોખું કે બાસ્કેટ ખુલ્લું ન રાખતા કપડાથી ત્રણેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુવાલથી ઢાંકી દો.

ઈજાગ્રસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે.જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો.પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીને બીનજરૂરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો. આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ,ધુમ્રપાનનો ધુમાડો અને અત્તરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી.

ઈજાગ્રસ્ત પક્ષીની આજુબાજુનું વાતાવરણ ૮૦-૯૦ ફે.ગરમ રાખવું જરૂરી છે. પક્ષીને ગરમી લાગે ત્યારે પાંખો ખોલી શરીરથી દૂર રાખે છે અને હાંફે છે. જયારે ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦-૧૦૦ વોટનો ઇલેકટ્રીક બલ્બ ચાલુ રાખવાથી પક્ષીને તકલીફ વગર હુફાળું વાતાવરણ પૂરું પાડી શકાય છે. બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ શરીરમાં સ્ફુર્તી નો સંચાર થાય છે.

ઇજા પામેલ પક્ષીને અઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. પક્ષીને આઘાતમાંથી બહાર આવવા 2-3 કલાકનો સમય આપો. પક્ષી ઢળી પડવું, ડોક નાખી દેવી, આંખ અર્ધ બિડેલ રાખવી, શ્વાસોશ્વાસ વધી જવા એ પક્ષી આઘાતમાં હોવાના ચિન્હો છે.ઇજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે.

પક્ષીને કયારેય ખુલ્લુ કે હાથમાં પકડીને ન લઈ જાવ. પક્ષીને પાંજરા કે બોકસમાં લઈ જવું જોઇએ. પૂઠાનું કાણા પાડેલ ખોખું કે પ્લાસ્ટીકનું બાસ્કેટ પક્ષીને રાખવા ઉપયોગ કરી શકાય.પાંજરાને કપડાથી ઢાંકો.જેનાથી પક્ષીને વાતાવરણ સામે રક્ષણ મળે છે.એકાંત આપે છે. દ્રષ્ટી સિમિત રાખે છે. જેથી તણાવ ઓછો ઉદભવે છે. વાહન કાળજીથી ચલાવો. એકદમ વળાંક લેવાનું ટાળો. પરીવહન દરમિયાન બિનજરૂરી ઘોઘાંટ ન કરો.ઋતુ મુજબ એસી કે હિટર ચાલુ રાખો. પક્ષીને આરામદાયક સ્થિતિમાં રાખવાથી સાજુ થવાની તક વધે છે.

પૂરતી જાણકારી વગર સારવાર આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઇ જાવ/સોપો.પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો. જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરૂરિયાત અલગ અલગ હોય છે.

પક્ષીની સારવાર માટે ક્યારેય ઉતાવળ ન કરો. માત્ર લોહીનો સ્ત્રાવ બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરૂરી હોય છે. લોહીનો સ્ત્રાવ ચાલું હોય તો આંગળીના ટેરવાથી કે રુ કે કપડાનું પૂમડું મુકી દબાવવાથી બંધ થઇ જાય છે. પક્ષીની લોહી ગંઠાવાની શક્તિ ખુબજ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઇ જતું હોય છે. ભાંગી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેંચવું જરૂરી બને છે. પક્ષીનું હલન ચલન લોહીનો સ્રાવ વધારે છે. ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ થતો હોય છે. રુનું પૂમડુ ૧ મિનિટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઇ જાય છે.

બાહ્ય ઇજા ન હોય પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટેભાગે નીચે પટકાવા સમયે માથામા ઇજા થયેલ હોય છે. આવા પક્ષીને એકાંતમાં, શાંત અને હુફાળા વાતવરણમાં રાખો.પક્ષીના શરીર પર વીટળાયેલ દોરાની ગુંચ ઉકેલવા કરતાં નાની કાતરથી કાપીને દૂર કરો.પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઇજા હોય છે.

પતંગના દોરાથી ઇજાનો ભોગ બનનાર પક્ષીમાં સામાન્ય રીતે કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે.ઈજાગ્રસ્ત પક્ષી ખોરાક કે પાણી લેતું હોતું નથી.પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન બનો. પક્ષીને ઓછામાં ઓછું હેન્ડલ કરો.પક્ષી ઉડવા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુક્ત કરો.

ઉતરાયણ પર્વ – ૨૦૨૪ કરુણા અભિયાન અંતર્ગત પશુ પક્ષીઓમાં થતી ઈજાઓ અને મૃત્યુના બનાવો અટકાવવા માટે ઘાયલ પશુ પક્ષીઓની ઈમરજન્સી સારવાર માટે પંચમહાલ જિલ્લામાં આવેલ તમામ તાલુકામાં તાલુકા વાઈઝ ટીમો બનાવવામાં આવી છે. ગોધરા તાલુકામાં – ૩ ટીમ, મોરવા હડફ તાલુકામાં – ૪ ટીમ, શહેરા તાલુકામાં-૨ ટીમ, કાલોલ તાલુકા -૧ ટીમ, હાલોલ તાલુકામાં – ૪ ટીમ, જાંબુઘોડા તાલુકામાં – ૧ ટીમ, ઘોઘંબા તાલુકામાં- ૪ ટીમ એમ કુલ ૧૯ ટીમો તા.૧૪/૦૧/૨૦૨૩ અને તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લાના વિવિધ સ્થળે ફરજ પણ બજાવશે.આવો આપણે સૌ કોઈ સાથે મળીને ઘાયલ પક્ષીઓને બચાવવાના અભિયાનમાં સહભાગી બનીએ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here