ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સુરજવડ અને ગોરા ગામ ખાતે આગામી ચોમાસુ સિઝનની પૂર્વતૈયારીના ભાગ રૂપે ગ્રામ્ય કક્ષાએ કરવાના થતા આયોજન, પુર અને વીજળીથી બચવાના ઉપાયો અંગે તા.૨૮ મે-૨૦૨૪ને મંગળવારના રોજ ગરુડેશ્વર મામલતદાર મનીષભાઈ ભોયની અધ્યક્ષતામાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, સરપંચ, તલાટી, મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, આશા અને આંગણવાડીના બહેનો, FSTના સંચાલક તેમજ ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો જોડાયા હતા. આ વેળાએ આપત્તિ વ્યવસ્થાપન અંગે ગામલોકોને સમજ આપી હતી. સાથે કુદરતી આપત્તિના સમયે બચાવ કામગીરી માટે કેવાં પગલાં લેવા જોઈએ તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.