સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ગામ લોકોને સરકારી લાભો આપવા સરકાર તત્પર

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

જનહિતને લક્ષમાં રાખીને ઝુંબેશરૂપે યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવાની સાથે સુખાકારીમાં વુધ્ધિ થાય તેવા હેતુસર થઇ રહેલી તમામ લોકો ના સર્વેની કામગીરી

ઘર-ઘર સુધી પહોંચીને સુખાકારી માટેના સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોમાં જરૂરી સહયોગ માટે જાહેર અપીલ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ગામોમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર જનહિતને કેન્દ્રમાં રાખીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જેમાં હાલમાં અમલમાં હોય તેવી સરકારી યોજનાઓને ધ્યાને રાખી જે વ્યકિતઓને વ્યકિતગત તથા સામુહિક લાભો મળેલ ન હોય તેવી વ્યકિતઓની ઓળખ કરી તમામને ઝુંબેશ રૂપે લાભાન્વિત કરવાના પ્રયાસ રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તદ્દઅનુસાર, જે લોકો પાસે આધારકાર્ડ, રેશનકાર્ડ, ગેસ કનેકશન, આવાસ, ચૂંટણી કાર્ડ, મા-અમૃત્તમ કાર્ડ, પીવાના પાણીની સગવડ, ઘરમાં વીજળી કનેકશન વગેરે ના હોય તેવા લોકોને આ સગવડ પહોંચાડવાનો ઉદ્દેશ છે, તથા જે લોકો સીનીયર સિટીઝન છે અથવા તો વિધવા બહેનો છે તેવા લોકો માટે વૃધ્ધ સહાય, વિધવા સહાય તેમજ દિવ્યાંગ સહાય માટે આ સર્વે કરી તેઓ સુધી પહોંચાડવાનો સરકાર દ્વારા પ્રયત્ન શરૂ કરાયેલ છે.
તદ્દઉપરાંત, સરકારની રોજગારલક્ષી યોજનાઓ દ્વારા કુટુંબના સભ્યોને તેમની રૂચિ મુજબની તાલીમ આપી તથા જે લોકોમાં રોજગાર મેળવવાની કુનેહ છે, તેવા લોકોને રોજગારલક્ષી કીટ આપી શકય તેટલી વ્યકિતઓને રોજગારી પુરી પાડવા માટેના સરકારશ્રી દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવેલ છે, જેથી પોતાની રીતે નોકરી/ધંધો મેળવી શકે અને રાષ્ટ્રની મુખ્ય ધારામાં જોડાઇ શકે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં આ કામગીરી શરૂ કરતા પહેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જનહિતની આ પ્રકારની થયેલી કામગીરીમાંથી પ્રેરણા લઇને શરૂ કરાઇ છે. જેમાં ૩૦ દિવસમાં ૩૦ હજાર વ્યકિતઓને વ્યકિતગત લાભ આ પ્રકારની કામગીરી કરી ઘરે-ઘરે લાભ પહોંચાડવામાં આવેલ છે.
સરકાર આપના ઘર-ઘર સુધી પહોંચી સુખાકારી માટે પ્રયત્નો કરી રહી છે. જેથી સરકારશ્રી દ્વારા હાલમાં ચાલી રહેલી સર્વેની આ કામગીરીમાં આ વિસ્તારના તમામ લોકોએ જરૂરી સાથ અને સહકાર આપવા પ્રાયોજના વહિવટદારશ્રી, રાજપીપલા-નર્મદા દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here