સરકારશ્રીની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઇને સ્વ-રોજગારીની સાથે આત્મનિર્ભર બની શકાય છે : જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાના ૭૪૨ લાભાર્થીઓને રૂા. ૨૩.૪૦ કરોડના ધિરાણ સહાયના ચેક- લોન મંજૂરીપત્રો એનાયત

જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે ધિરાણ સુગમતા કાર્યક્રમ યોજાયો

સરકાર ની વિવિધ યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યવસાયકારો સ્વ-રોજગારી મેળવી શકે તે હેતુસર નર્મદા જિલ્લા અગ્રણી બેંક, બેંક ઓફ બરોડા દ્વારા રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે ધિરાણ સુગમતા કાર્યક્રમમાં આજે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, બેંક ઓફ બરોડાના AGM રિજીઓનલ ઓફીસર સંજીવ આનંદ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના AGM એન.કે.સિંહ, બેંક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી ઝોનલ મેનેજર એસ.એન.શ્રીવાસ્તવ, ચીફ મેનેજર અને લીડ ડિસ્ટ્રીક મેનેજર આર.કે.સિંહ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ જનરલ મેનેજર જે.બી.દવે સહિત વિવિધ બેંકોના અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપપ્રાગ્ય દ્વારા ખૂ્લ્લો મૂક્યો હતો. જિલ્લાની વિવિધ બેંકોને આપેલા નિર્ધારિત લક્ષ્યાંક મુજબ તા. ૧૬ થી તા. ૨૭ ઓક્ટોબર સુધીમાં નર્મદા જિલ્લાના ૭૪૨ લાભાર્થીઓને રૂા. ૨૩.૪૦ કરોડની ધિરાણની ચૂકવણી કરાઇ છે.

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, નર્મદા અને દાહોદને એસ્પિરેશનલ જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે ત્યારે, સરકારશ્રીની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઇને સ્વ-રોજગારીની સાથે આત્મનિર્ભર બની શકાય છે. વ્યવસાયકારોની સાથોસાથ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી મહિલાઓ પણ સ્વ-રોજગારી મેળવી શકે તે માટે ૧ લાખ રૂપિયાની ધિરાણ લોન આપવામાં આવી રહી છે. બેંકોમાં લોન લેવા માટેની પ્રક્રિયા એકદમ સરળ છે. તમામ લોકોએ પોતાના વિસ્તારમાં આવેલી બેંન્કનો સંપર્ક સાધીને સરકારશ્રીની યોજનાઓના મહત્તમ લાભ લેવા પલસાણાએ ઉમેર્યુ હતું.

બેંક ઓફ બરોડાના રિજીઓનલ ઓફીસર સંજીવ આનંદે જણાવ્યું હતું કે, ધિરાણ સુગમતા કાર્યક્રમ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન મળી રહે તેમજ ઉદ્યોગકારો-વ્યવસાયકારો ધિરાણ મેળવીને ઉદ્યોગક્ષેત્રે વધુ પ્રગતિ કરી શકે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના લોકો માટે ઘણી જ ઉપયોગી હોવાની સાથે આપાતકાલીન સમયમાં તે ખૂબ જ મદદરૂપ હોવાનું આનંદે જણાવ્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયાબાદ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત અન્ય મહાનુભાવોએ વિવિધ બેંકો અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. વિવિધ યોજનાઓની માહિતી તથા પેમ્પલેટ-સાહિત્ય પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લામાં ૭૪૨ લાભાર્થીઓને રૂા.૨૩.૪૦ કરોડના ધિરાણ સહાયના ચેક- લોન મંજૂરીપત્રો એનાયત કર્યા હતા. પ્રારંભમાં લીડ ડિસ્ટ્રીક મેનેજર આર.કે.સિંહે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં તેમણે આભારદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here