ગોધરા,
પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા
ગોધરાના પોપટપુરા અને સારંગપુર ખાતે 200 કિટનું વિતરણ કરાયું
નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતુ અટકાવવા પંચમહાલ જિલ્લા સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. આ દરમિયાન ગરીબો, શ્રમિકો, રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે જિલ્લાના ન્યાયાધીશશ્રીઓએ એક સુંદર પહેલ કરી હતી. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશશ્રી સહિતના જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા ફાળો એકત્રિત કરી જરૂરતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉં, ચોખા, તેલ, દાળ, ખાંડ સહિતની રાશનસામગ્રી સામેલ હતી. ગોધરા અને કાલોલ ખાતે આવી કુલ 200 કીટનું વિતરણ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી જે.આર.શાહ, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી ઉમંગ વ્યાસ, શ્રી કે.જે.રાઠોડ, શ્રી પચૌરી અને શ્રી શેખ.સહિતના ન્યાયધીશોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગોધરાના પોપટપુરા અને સારંગપુરા ગામ ખાતે વિધવા, અશક્ત કે ગરીબો સહિતના જરૂરિયાતમંદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું ધ્યાન રાખીને આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરાના પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.