રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
સારવાર હેઠળના સાજા થયેલા સાત દર્દીઓને આજે અપાયેલી રજા
આજની સ્થિતિએ રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ
ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૫ સેમ્પલ મોકલાયા
નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૧,૯૧૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૩૮ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૯ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પૈકી સાત દર્દીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના ૪૪ દર્દીઓને રજા અપાતા આજની સ્થિતિએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૯ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૧,૯૧૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૫ દર્દીઓ, તાવના ૪૫ દર્દીઓ, ડાયેરીયાના ૩૮ દર્દીઓ સહિત કુલ -૧૩૮ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૩૨,૮૬૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૩૭,૪૭૨ લોકોને વિતરણ કરાઇ છે.