શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ
છેલ્લી ઘડીએ ઘરાકી નીકળે તેવી શહેરાના વેપારીઓને આશા
કોરોના મહામારી વચ્ચે દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને આ પર્વને હવે ગણતરીના દીવસો બાકી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા નગરના બજારોમાં હજુ સુધી દિવાળીની ઘરાકીનો માહોલ જામ્યો નથી, કારણ કે શહેરા નગરના બજારોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો સુરત,રાજકોટ જેવા મોટા-મોટા શહેરોમાં કંપનીઓમાં કામ કરતા હોય અને તેઓને દિવાળી બોનસ મળે ત્યારે પોતાના વતન આવીને કપડાં, મીઠાઈ અને ફટાકડાં સહીતની ખરીદી કરતા હોય છે, જેથી શહેરાના કપડાં બજાર, મીઠાઈના વેપારીઓ અને ફટાકડાં બજાર સહીતના બજારોમાં ભીડ જામી નથી, જોકે દિવાળી પર્વની છેલ્લી ઘડીએ શહેરાના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ, મેન બજાર, સીંધી ચોકડી, અણીયાદ ચોકડી, મોટી મસ્જિદ જેવા વિસ્તારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડશે અને ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે,જ્યારે બજારોમાં ઘરાકી નહીં હોવાનુ કારણ ઓનલાઈન ખરીદી હોવાનુ પણ વેપારીઓ જણાવી રહ્યા છે સાથે મંદીની અસર પણ જણાવી રહ્યા છે. કેટલાક લોકો કપડા, બુટ-ચપ્પલ સહિતની અનેક ચીજવસ્તુઓની ઓનલાઈન ખરીદી કરતા હોવાથી બજારોમાંથી ખરીદી ઓછી થઈ રહી હોવાનુ જાણવા મળે છે. જોકે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને કારણે આર્થિક રીતે પણ લોકો કમર ભાગી ચૂકી હોવાથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવાનું લોકો ટાળી રહ્યા છે, જેના કારણે આજદીન સુધી બજારોમાં લોકોનો ઓછો ઘસારો જોવા મળી રહ્યો છે.