ગોધરા,(પંચમહાલ)
અનુજ સોની
પંચમહાલ જીલ્લા રેંજ આઈ.જી એમ.એમ ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગોધરા એસ.ઓ.જી પી.આઈ કે.પી.જાડેજાને મોરવા(રેણા) તા-શહેરાની હદમાં આવેલ આઈ.ટી.આઈ ના નામના બનાવટી પ્રમાણપત્રો અને માર્કશીટો કેટલાક ઇસમો આર્થિક લાભ મેળવવા સારૂ ઉપયોગ કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી પી.આઈ કે.પી.જાડેજાએ પોતાના સ્ટાફને સાથે રાખી બાતમી મુજબની જગ્યા પર તપાસ કરતા બોગસ પ્રમાણપત્રો અને માર્કશીટ સહીત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લા એસ.ઓ.જી પી.આઈ કે.પી.જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરા તાલુકામાં આવેલ મોરવા(રેણા) ITI નાં નામના બનાવટી પ્રમાણપત્રો અને માર્કશીટો અમુક ઇસમો જાહેરમાં વેચાણ કરી રહ્યા છે જેના આધારે એસ.ઓ.જી પી.આઈ કે.પી.જાડેજાએ ગોધરા તાલુકાના નદીસર ગામે ગીતાંજલી સ્ટુડીઓમાં રેઇડ કરી હતી. જેમાં દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ લાકોડ, રેહ- ઉદલપુર રોડ, નદીસર અને સંગ્રામસિંહ અરવિંદસિંહ રાઠોડ, રહે- રામજી મંદિર પાસે,નદીસર સ્ટુડીઓમાં હાજર મળી આવ્યા હતા. તેમજ તેઓના કબ્જામાં અન્ય વિદ્યાર્થીઓના નામની ITI મોરવા(રેણા) સંસ્થાની ડુપ્લીકેટ માર્કશીટો મળી આવી હતી તથા ગુના કામે વપરાયેલ લેપટોપ,સી.પી.યુ અને કલર પ્રિન્ટર કમ સ્કેનર સહીત કુલ ટોટલ ૨૪,૭૦૦ નો માલસામાન મળી આવ્યો હતો.