ગુજરાતમાં લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ 49449469 મતદારો નોંધાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નવી મતદાર યાદીમાં 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો

આખરી મતદારયાદીમાં 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયા છે

કુલ 3.14 લાખ પુરૂષ, 3.74 લાખ સ્ત્રી અને ત્રીજી જાતિના 54 મતદારો ઉમેરાયા

ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારી ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઑક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 જાન્યુઆરી-2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયેલા છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 3,14,735 પુરૂષ, 3,74,971 લાખ સ્ત્રી તથા 54 ત્રીજી જાતિના મળી કુલ 6,89,760 મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત અવસાન પામેલા 1,53,958 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે 4,60,153 મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે.જો નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરી શકાશે અને સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે.

હાલની મતદારયાદીની સુધારણા પહેલાના EPIC (મતદાર ઓળખપત્ર)ની વહેંચણીની કામગીરી હાલ રાજ્યમાં ચાલી રહી છે જ્યારે હાલમાં જે સુધારણાનો કાર્યક્રમ પૂરો થયેલ છે તેવા EPIC મતદારોને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં મળી જાય તે રીતે આયોજન કરેલ છે. તમામ EPIC પોસ્ટ ઑફિસ મારફતે મતદારને વિનામૂલ્યે મતદારના ઘરે પહોંચાડવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા યોગદાન આપનાર રાજ્યના તમામ નાગરિકો, યુવા મતદારો તથા રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ્સનો આભાર વ્યક્ત કર્યો હતા. સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યનિષ્ઠ બુથ લેવલ ઑફિસર્સ સહિતના સમગ્ર ચૂંટણી તંત્ર તથા મતદાર તરીકે નોંધણી કરાવવા જાગૃતિ ફેલાવનાર તમામ સમાચાર માધ્યમોને પણ બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here