એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ “ઉજવણી સદીઓના સંબંધોની” યાદ તાજી કરાવશે, કલા સંસ્કૃતિનો અનોખો સમન્વય થશે ભાઈચારાના દર્શન

રાજપીપળા, (નર્મદા)/આશિક પઠાણ :-

એકતાનગરની મુલાકાતે આવનારા સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને કોઈ અગવડતા ન પડે તેનું પુરતું ધ્યાન રાખવા સંબંધિત અધિકારીશ્રીઓને તાકિદ કરતા જિલ્લા કલેક્ટર

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષાતમાં વિવિધ આઠ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લામાં આવનારા મહેમાનોનું ભવ્ય યાદગાર સ્વાગત કરવા માટે વહીવટી તંત્ર સજ્જ

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનો નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવનાર હોય તેમની આગતા સ્વાગતા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેની સમીક્ષા અર્થે આજે તા.૧૭/૦૪/૨૦૨૩ના રોજ સાંજે ૫.૦૦ કલાકે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લામાં તા.૨૧થી ૩૦મી એપ્રિલ સુધી યોજાનારા આ કાર્યક્રમ માટે તમિલનાડુના લોકો એકતાનગરના પ્રવાસે આવશે. જિલ્લાના અધિકારીઓની વિવિધ આઠ કમિટીઓ બનાવવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમના જિલ્લા નોડલ અધિકારી તરીકે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. જેના અનુસંધાને આજરોજ યોજાયેલી બેઠકમાં તમામ સમિતીઓએ કરેલી કામગીરી-આયોજનપૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન તમામ સમિતિના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે અને આયોજનબદ્ધ રીતે પાર પાડી જિલ્લાની મુલાકાતે આવનારા મેહમાનોને કોઈ અગવડતા ન પડે તે માટે ઝીંણવટપૂર્વક કામગીરી કરવા સાથે જિલ્લાની યાદગાર સ્મૃતિ કાયમ રહે તેવું કામ કરવા જણાવ્યું હતું. અને આ સ્થળ વિશ્વફલક પર વિસ્તરેલું છે જે આપણા સૌનું ગૌરવ છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ટીમ નર્મદા તરીકે કામ કરવા જણાવ્યું હતું.

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ આજે ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ અને તમિલના મહાનુભાવો, સ્થાનિક પદાધિકારીશ્રાઓની ઉપસ્થિતિમાં શાનદાર રીતે શુભારંભ થયો છે. ત્યાંથી પ્રવાસીઓ આખરી પડાવમાં એકતાનગર ખાતે આવી વિવિધ પ્રકલ્પો નિહાળશે. આ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, વડોદરા અને નર્મદા જિલ્લાના મહત્વના સ્થળોની મુલાકાત લેશે. જે આગામી તા. ૩૦ એપ્રિલ સુધી ચાલનારો છે. એકતાનગર(કેવડિયા)માં સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમાના પ્રતિમાના સાનિધ્યમાં તમિલ લોકો ગુજરાતના મહેમાન-પ્રવાસી બનીને ઉત્સાહભેર આવી રહ્યાં છે. આ મહેમાનોને આવકારવા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ એકતાનગર ખાતે સ્વાગત-સત્કાર કરવા સુસજ્જ બન્યા છે. નર્મદા જિલ્લામાં આવતા મહેમાનો આદિજાતિ સંસ્કૃતિના પણ આબેહૂબ દર્શન તેમજ વિવિધ પ્રકલ્પોને નિહાળીને ભાવવિભોર બનશે. અને જૂદી જૂદી ભોજન વાનગીઓનો રસાસ્વાદ માણશે.

એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરતા આ સૌરાષ્ટ્ર તમિલ સંગમનો આજે પ્રારંભ થયો છે, ત્યાંથી મહેમાનો દ્વારકા, પોરબંદર, રાજકોટ, વડોદરા થઈને તા. ૨૧ થી ૩૦ એપ્રિલ દરમિયાન મહેમાનો તબક્કાવાર બાયરોડ એકતાનગર ખાતે વિવિધ સ્થળોની મુલાકાત લેશે, અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમથી ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય, શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ સહિતનું અનોખું આદાન-પ્રદાન થશે. ૧૦ દિવસ માટે પ્રવાસે આવેલા સૌરાષ્ટ્રીય તમિલ મહેમાનો ગુજરાતના મહત્વના સ્થળોના પ્રવાસ કરીને વિવિધ નીતનવી જાણકારી પ્રાપ્ત કરશે અને સરદાર સાહેબના સાનિધ્યમાં એકતાનગર ખાતે પ્રવાસ પૂર્ણ કરી ટ્રેન મારફત તમિલનાડુ જવા રવાના થશે.

એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, એકતા મોલ, આરોગ્ય વન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, આરોગ્ય વન, જંગલ સફારી, પેટ ઝોન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, પ્રોજેકશન મેપિંગ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના સ્થળો નિહાળશે, સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે. આ કાર્યક્રમ તેમના જીવનનો યાદગાર અને ઐતિહાસિક બની રહેશે અને ગુજરાત-તમિલના સંબંધો વધુ ગાઢ બનશે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરાશે.

ઉક્ત બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ પોલીસ અધિક્ષક પી.આર. પટેલ અને સુશ્રી વાણી દૂધાત, ટેન્ટ સિટી-૦૨ના મેનેજર પ્રબલ પટેલ સહિત તમામ આઠ સમિતિના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here