સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તા. ૧૭મી ઓક્ટોબરથી પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે ૦૭ઃ૦૦ વાગ્યે અને નર્મદા આરતી ૭:૪૫ કલાકે યોજાશે

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીનું આયોજન થાય છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૧૭/૧૦/૨૦૨૩ના રોજથી સાંજના ૦૭ઃ૩૦ કલાકના બદલે ૦૭ઃ૦૦ કલાકથી લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી સાંજે ૮ઃ૧૫ કલાકના બદલે સાંજે ૭:૪૫ કલાકથી શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લેસર શૉ માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે.

મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here