સરકારશ્રીના ઠરાવ મુજબ ચાર પૈડાવાળું વાહન,સરકારી કર્મચારીઓ,૧૫ હજારથી વધુની માસિક આવક,ઈન્કમટેકસ ભરતા હોય તેવા વ્યક્તિઓએ રેશનકાર્ડ તબદીલ કરવા બાબત

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

આગામી ૩૧ જુલાઈ સુધી NFSA કેટેગરીનું રેશનકાર્ડ ઘરાવતા હોય તો NON NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરી રાશન/અનાજ ન લેવા પંચમહાલ પ્રશાસનની અપીલ

મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં રૂબરૂ જઇ અરજી સાથે રેશનકાર્ડની ઝેરોક્ષ(નકલ) આપીને NFSA માંથી NON NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરવા અનુરોધ

રેશનકાર્ડને લઈને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો,૨૦૧૩ અન્વયે અગ્રતા ઘરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવા ગુજરાત સરકારશ્રીના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ નીચે પૈકીની કોઇ ૫ણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે.
________

(૧) ૪ પૈડાવાળુ મોટરકાર,ટ્રેકટર,ટ્રક કે બસ જેવુ વાહન ધરાવતા હોય
(૨) જે કુટુંબનો કોઇ ૫ણ સભ્ય સરકારી કર્મચારી હોય સિવાય કે(સરકારી કચેરી,બોર્ડ,નિગમ કે અન્ય સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સહિત સબંધિત કચેરીમાં આઉટ સોર્સિગથી વર્ગ-૪ માં કામગીરી કરતા હોય)
(૩) જે કુટુંબનો કોઇ૫ણ સભ્ય માસિક રૂ.૧૫,૦૦૦/-થી વધુ આવક ઘરાવતો હોય.
(૪) જે કુટુંબનો કોઇ૫ણ સભ્ય આવકવેરો(ઇન્કમટેક્ષ),વ્યવસાય વેરો ચૂકવતો હોય,
(૫) જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય,
(૬) જે કુટુંબનો કોઇ૫ણ સભ્ય સરકારી પેન્શનર હોય,
(૭) જે કુટુંબ ૭.૫ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતું હોય.

આથી પંચમહાલ જિલ્લાના ઉપરોક્ત ધોરણો ધરાવતા રેશનકાર્ડ ધારકોએ તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી સ્વેચ્છાએ અત્રેના પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓ જેમ કે,ગોધરા, શહેરા, મોરવા(હ), કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા ખાતે આવેલ મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં રૂબરૂ જઇ અરજી સાથે રેશનકાર્ડની ઝેરોક્ષ(નકલ) આપીને NFSA માંથી NON NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે.

જો તેમ કરવામાં ચૂક થશો તો તા.૦૧/૦૮/૨૦૨૪ ૫છી જિલ્લા પુરવઠા કચેરી દ્વારા જિલ્લાની તથા તાલુકાની વિવિધ ટીમોની રચના કરી ફીલ્ડમાં મુલાકાત લઇ ક્રોસ વેરીફીકેશન અને તપાસ હાથ ધરવામાં આવશે,તે તપાસ દરમ્યાન જો ઉકત દર્શાવેલ સાત ધોરણો(Criteria) હોવાના પુરાવા માલુમ ૫ડશે તો પ્રશાસન દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાયે ફોજદારી ગુન્હો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જ્યારથી રાશન/અનાજ મેળવવામા આવેલ હોય ત્યારથી આજદિન સુધીની રાશનની બજાર કિંમત મુજબનો દંડ વસુલ કરવામાં આવશે.

આ નિયમ કોને લાગુ પડશે નહિ
_______
(૧)ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટોરીક્ષા,છકડો/મીની ટેમ્પો)વાહનચાલકોને(માસિક રૂ.૧૫,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોય તેવા),
(૨) જે કુટુંબના પુખ્તવયના તમામ કમાતા સભ્યો અશકત હોય કે ગંભીર રીતે બીમાર હોય કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય,તેવા કુટુંબને
(૩) જે કુટુંબના વડા તરીકે સગીર વ્યક્તિ હોય,એટલે કે કુટુંબના કોઇ૫ણ સભ્ય ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના ન હોય,
(૪) સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંઘાયેલ જે ગંગાસ્વરૂપા બહેનો(વિધવા બહેનો) પેન્શન મેળવે છે, તેવી બહેનો તથા જે વિધવા બહેનો સરકાર માન્ય સંસ્થાઓ ખાતે રહેતા હોય તેવી વિધવા બહેનોને.
(૫) સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ”ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ” હેઠળ નોંઘાયેલ બાંધકામ શ્રમયોગીઓને.
(૬) સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ તથા આ જ પ્રકારે જે દિવ્યાંગ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી,સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા હોય તેવા દિવ્યાંગો વ્યક્તિઓને.
(૭) સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી તથા આ જ પ્રકારે જે વૃદ્ધ વ્યક્તિઓ આ ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા હોય તેવા વૃદ્ધ વ્યક્તિઓને ઉપરના નિયમ લાગુ પડશે નહિ તેમ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here