રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
નિર્દોષ ન દંડાય તેની તકેદારી પોલીસે રાખવી પડશે…
રાજપીપળામાં ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે ત્યારે થોડા સમય અગાઉ એક ગરીબ વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો સામાન્ય વ્યાજ દર કરતા ખૂબ ઊંચા ભાવે કેટલાક વ્યાજખોરો લેણદાર પાસે ઉઘરાણી કરી ધાક ધમકી આપી પૈસા પડાવાનો પ્રયત્ન કરે છે જેથી વ્યાજે નાણાં લેનાર વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી તોબા પોકારી ઉઠે છે કેટલીક વાર આ મજબૂરી તેમને આત્મહત્યા તરફ પણ દોરી જાય છે.
વ્યાજખોરોના ત્રાસને ડામવા તેમજ કડક ઉઘરાણી કરતા લોકોને સબક શીખવાડવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા એક પ્રજાજોગ અપીલ કરાઈ છે જેમાં જણાવ્યું છે કે કોઈ વ્યાજખોરો હેરાન કરે કડક ઉઘરાણી કરે ધાક ધમકી આપે તો આ અનુસંધાને નર્મદા જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૦ નંબર ઉપર કોલ કરે અને ફરિયાદ લખાવે પોલીસ આવા વ્યાજખોર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
આ મામલે નર્મદા પોલીસની હવે અગ્નિ પરીક્ષા થશે કારણ ધણા કિસ્સાઓમાં લોકો નામઠામ વિના સારા લોકોને પણ બદનામ કરવા તેમજ હાથ ઉછીના નાણાં લીધા હોય તે પરત નહી કરવાની બદદાનતથી વ્યાજથી નાણાં લીધામા ખપાવતા હોય છે અને ખોટી ફરિયાદો કરતાં હોય છે, ત્યારે પોલીસ ફરિયાદ મળતાં પોલીસે ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવી પડશે.