રાજપીપળા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોલીસ વિભાગ સમાજની સેવા, સુરક્ષા અને શાંતિના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરી રહી છે, ગુનેગારો સામે સ્વભાવ કડક જ હશે :- – ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

નર્મદા જિલ્લામાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને, અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લગાવી એક આદર્શ સમાજના નિર્માણ માટે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ, અને અધ્યક્ષતામાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે ‘મેગા લોકસંવાદ’ યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ની જનસામાન્ય માટેની સ્વનિધિ કે મુદ્રા યોજનાના લાભોથી વાકેફ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ, એક આદર્શ સમાજના નિર્માણમાં પોલીસતંત્રની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી.

પોલીસ વિભાગ સમાજની સેવા, સુરક્ષા અને શાંતિના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરી રહી છે. પોલીસ અને પ્રજા વચ્ચે આત્મિયતા કેળવાય તે હેતુથી પોલીસતંત્ર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. પરંતુ ગુનેગારો સામે પોલીસનું વલણ કડક જ રહેશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ પોલીસતંત્ર જિલ્લાને વ્યાજ ખોરી મુક્ત બનાવવા વિશેષ મેગા ડ્રાઇવ હાથ ધરી, વ્યાજખોરો સામે લાલઆંખ કરી, અને નાગરિકોને જાગૃત કરવાની શાનદાર કામગીરી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here