રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર અને દેડીયાપાડા ખાતે આવેલી ઇનરેકા સંસ્થા એમ બે આઇકોનિક સ્થળો સિવાય ઠેર-ઠેર ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરાઈ હતી. રાજપીપલા ખાતે આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડિયા પેલેસ દ્વારા પણ વિશ્વ યોગ દિવસની હોંશભેર ઉજવણી કરી હતી.
નર્મદા જિલ્લાના નવયુવાનો સહિત સૌ નગરજનોને યોગ માટે પ્રેરિત કરવા, લોકોના શારીરિક-માનસિકતામાં સકારાત્મક બદલાવ લાવવા, પોતાના પરિવાર સાથે તણાવમુક્ત, તંદુરસ્ત અને ખુશખુશાલ જીવન જીવે તે માટે યોગા પ્રોટોકોલ મુજબ યોગ-પ્રાણાયામ કરીને પ્રેરક સંદેશો આપ્યો હતો.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડીયા પેલેસ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રના મદદનીશ નિયામક કેતનભાઈ ઠક્કર અને સરકારી આયુર્વેદ ફાર્મસીના મેનેજર વૈદ્ય માયાદેવી ચૌધરી એ વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ઉપસ્થિતિ યોગસાધકોને યોગનું મહત્વ સમજાવીને ભારતીય સંસ્કૃતિ તરફથી માનવજાતને મળેલ યોગની આ અણમોલ ભેટના બહોળા પ્રચાર-પ્રસાર માટે આહવાન કર્યું હતું. આ ઉજવણી પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક વૈદ્ય યોગેશ વસાવા પણ સહભાગી થયા હતા.