પોઇચા નર્મદા નદીમાં ડૂબેલા 7 પૈકી 2 ના મૃતદેહ મળી આવ્યા અન્ય પાંચની શોધખોળ ચાલુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એનડીઆરએફની ચાર ચાર ટુકડીઓ મૃતદેહોની શોધખોળમાં કાર્યરત

નર્મદા કલેક્ટરે પોઇચા નર્મદા નદીની દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું

આપત્તિની ઘડીમાં હતભાગી પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા આપતા કલેક્ટર શ્વેતા ટેવત્તિયા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ ની ચાર ટુકડીઓ , વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ જોડાયા હતા. બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ નર્મદા કલેક્ટરે સાંત્વના વ્યક્ત કરી હતી. તેમણે બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હતી.

સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઇચા, કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન નર્મદા નદીમાં ન્હાવા પડ્યા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઇ ગઇ હતી. તા. ૧૪ના બપોરના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના , રાજપીપળા પાલિકા ના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં ૬૦ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાંતો જોડાયા છે. આજ તા. ૧૫ના સાંજના છ વાગ્યા સુધીમાં ૩૨ કલાકથી શોધખોળ ચાલી રહી છે. જેમાં એનડીએફની ચાર ટીમો જોડાઈ છે. તરવૈયાઓની શોધખોળમાં ગઈકાલની ઘટના બની હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર બે જ મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્ય પાંચ મુદ્દેઓની શોધખોળ હજી પણ ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું છે.

કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક અધિકારીઓ રાહત અને બચાવની કામગીરી ઉપર સતત નજર રાખી રહ્યા છે. આજે આ ઉચ્ચ અધિકારીઓએ પોઇચાની મુલાકાત લીધી હતી અને શોધખોળની જાત માહિતી મેળવી હતી. એનડીઆરએફ, આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ દ્વારા જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રાહત કમિશનર ની કચેરી દ્વારા પણ આ કામગીરીના સતત અપડેટ મેળવાઇ રહ્યા છે.

હતભાગી પરિવારને પોઇચા ખાતે ઉતારવામાં આવ્યા છે. તેમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ પરિવારને રૂબરૂ મળી કલેક્ટર તેમના દુઃખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી. તેમણે આ આપત્તિની ઘડીમાં પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી. તેમના દુઃખમાં પ્રશાસન પડખે ઉભું છે, એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here