નર્મદા વન વિભાગની સગાઈ રેન્જના કેલ્દાપુલથી નિનાઈ ખાડી સુધી અંદાજે ૫ કિ.મી. ના વિસ્તારમાં નેચરવોક થકી શાળાના વિદ્યાર્થીઓને માહિતીગાર કરાયાં

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જંગલોમાં રહેલી વનસ્પતિઓ ઘણા રોગોના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી બની રહી છે વનો ના રક્ષણ સાથે નદીઓ નુ પણ જતન જરૂરી : મદદનીશ વનસંરક્ષક ઈદરીશભાઈ ટોપીયા

દેડીયાપાડાના સગાઈ ખાતે નેચરવોક ( પ્રકૃતિ તથા ઈકોલોજી) નો કાર્યક્રમ યોજાયો

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પાંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા જિલ્લા વન વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ચોથા દિવસે દેડીયાપાડાના સગાઈ ખાતે મદદનીશ વન સંરક્ષક ઈદરીશભાઈ ટોપીયા, દેડીયાપાડા તાલુકા પંચાયતના સદસ્ય દશરીયાભાઇ વસાવા, સિંચાઇ વિભાગના મદદનીશ ઈજનેર પી. જે. હિરપરા, સગાઈના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી ઉન્નતિબેન પંચાલ, શાળાના વિદ્યાર્થીઓ, ફોરેસ્ટગાર્ડ, બીટગાર્ડ વગેરેની ઉપસ્થિતિમાં નેચરવોક ( પ્રકૃતિ તથા ઈકોલોજી) નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મદદનીશ વનસંરક્ષક ઈદરીશભાઈ ટોપીયાએ તેમના પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે નદી ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે ગુજરાત રાજ્ય સહિત દેશની વિવિધ નદીઓ વિશે પણ માહિતીગાર થઈને તેનું જતન કરવું જોઈએ. જંગલોમાં રહેલી વિવિધ વનસ્પતિઓ પણ ઘણા રોગોના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી બની રહી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

મદદનીશ વનસંરક્ષક ટોપીયાએ વધુમાં જણાવ્યું હતું કે, વનોને કારણે જ પૃથ્વી પર વસતા સૌ જીવોની સુરક્ષા અને સમૃદ્ધિ જળવાઇ રહી છે. આપણી સાચી તથા મૂલ્યવાન સંપત્તિ જૈવિક વિવિધતાના સંરક્ષણ તથા સંવર્ધન માટે જંગલો એક બેંક સમાન છે. આપણા સહુના રોજ બરોજના જીવનમાં આવતી અનેક સમસ્યાઓના મૂળમાં વનોનુ કપાણ જ ગણાવી શકાય, તેથી આપણે સહુએ જંગલોની અવશ્ય કાળજી રાખી જંગલોનું જતન કરવું જોઈએ. જંગલો હોવાથી જમીનને ધોવાણથી અટકાવી શક્યા છીએ તેથી જંગલોની ફળદ્રુપતા જળવાઈ રહી હોવાથી ખેતી સમૃદ્ધ બની રહી છે. ખોરાક, બળતણ, ચારો, દવાઓ અને અન્ય પેદાશો પણ જંગલ વિસ્તારમાંથી મળી રહેતી હોવાથી સ્થાનિક લોકોની રોજબરોજની જરૂરિયાતો પણ પુરી પાડીને આત્મનિર્ભર બનવા તેમજ તમામ લોકોને વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાની સંકલ્પબધ્ધતા વ્યક્ત કરાઇ હતી.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સગાઈ રેન્જના કેલ્દાપુલથી નિનાઈ ખાડી સુધી અંદાજે ૫ કિ. મી. ના વિસ્તારમાં નેચરવોક થકી જળ, જમીનની સાથોસાથ જંગલમાં આવેલાં સાગ, ઉમરા, ખેર, ફેશમ, બરેડા સહિત વિવિધ વૃક્ષો વિશે માહિતગાર કરાયાં હતાં. આ વેળાએ મદદનીશ વનસંરક્ષક ઈદરીશભાઈ ટોપીયા અને સગાઈના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી ઉન્નતિબેન પંચાલે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ રેન્જમાં આવેલ ઈન્ટર પ્રિટેશન એન્ડ સગાઈની મુલાકાત લઈને નદીઓનું મહત્વ તેમજ જિલ્લાના વિવિધ ઈકો ટુરીઝમ વિશે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે દેડીયાપાડા તાલુકા પંચાયતના સદસ્ય દશરીયાભાઇ વસાવા, સિંચાઇ વિભાગના મદદનીશ ઈજનેર પી. જે. હિરપરા, સગાઈ ગામના અગ્રણી નરેન્દ્રભાઇ વસાવા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

પ્રારંભમાં સગાઈના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી ઉન્નતિબેન પંચાલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં ફોરેસ્ટર કે. સી. વસાવાએ આભારદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here