નર્મદા જીલ્લામા વસવાટ કરતા આદીવાસીઓએ પોતાના જંગલના પ્રશ્નો માટે રાજપીપળામા વિશાળ રેલી કાઢી

રાજપીપળા, વ(નર્મદા) આશિક પઠાણ :-

વન અધિકાર ને લગતા પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ હોય ઝડપી ઉકેલ લાવવા ની આદીવાસીઓ ની માંગ

જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી જીલ્લા કક્ષા ના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા ની આર્ચ વાહિની સંસ્થા દ્વારા રજુઆત કરાઈ

પૂર્વપટ્ટી વનાધિકાર ગ્રામસભા સંઘ જય આદિવાસી મહાસંઘ, નર્મદા આદિવાસી મહાસભા ગુજરાત સહિત આર્ચ વાહિની સંસ્થા નર્મદા ની આગેવાની માં રાજપીપળા ખાતે આદિવાસીઓની ઍક વિશાળ રેલી પોતાની જંગલ ની જમીનો ના અધિકારો માટે નીકળી હતી અને નર્મદા કલેકટર કચેરીએ પહોંચી જીલ્લા કલેકટર શ્વેતા ટેવતિયાં ને આવેદનપત્ર આપ્યુ હતું.

નર્મદા જીલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્ર માં નર્મદા જિલ્લામાં વન અધિકાર કાયદાના અમલને લગતા જે સવાલો હજી પડતર છે તેના ઝડપી ઉકેલ માટે ની માંગણી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના પડતર તેમજ ઓછા ક્ષેત્રફળ સાથે મંજૂર થયેલા વિવાદિત દાવાઓના નિકાલ માટે સેટેલાઇટ ઇમેજરી આધારિત ચકાસણી કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી છે અને એ માટે જી.પી.એસ. માપણીની શેપ ફાઇલો ગીર ફાઉન્ડેશનને મોકલીને એની પાસેથી ભલામણો મેળવવામાં આવી છે. આને કારણે ઘણા પેન્ડીંગ દાવાઓ મંજૂર થયા છે અને ઓછા ક્ષેત્રફળવાળા વિવાદિત દાવાઓનું ક્ષેત્રફળ પણ વધ્યું છે. આ કામગીરી માટે ગુજરાત સરકાર નો આભાર માન્યો હતો

પરંતુ તેની સાથે વન અધિકાર કાયદાના અમલને લગતા ઘણા પ્રશ્નો ઘણા વરસોથી હજી પેન્ડીંગ છે. અને વારંવાર રજૂઆતો કરવા છતાં એનો હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. આમાંના મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ તો અહીં જિલ્લા કક્ષાએ જ આવી શકે એમ છે. માટે આપને વિનંતી કરીએ છીએ કે આ પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક જરૂરી પગલાં ભરશો. અને જે પ્રશ્નો માટે રાજ્ય સરકારને રજૂઆત કરવાની જરૂર હોય તે પ્રશ્નો કલેકટર કક્ષા એ થી ઉકેલવા ની માંગ કરવામાં આવી હતી.

વ્યક્તિગત અધિકારોને લગતા પ્રશ્નો વહેલી તકે ઉકેલવા જેમકે ગીર ફાઉન્ડેશનમાંથી ચકાસણી થઇને આવી ગયા હોવા છતાં પ્રાંત કે જિલ્લા સમિતિએ હજુ સુધી મંજૂર નથી કર્યા એવા દાવાઓ ના પ્રશ્ન
ગીર ફાઉન્ડેશને ચકાસણી કરીને અત્યાર સુધીમાં પરત મોકલેલા કુલ આશરે 7600 (પેન્ડીંગ તેમજ ક્ષેત્રફળના વિવાદવાળા) દાવાઓના લગભગ 7000 (90%) દાવા મંજૂર કરવાપાત્ર છે એવી ભલામણ પણ કરી છે. આ દાવાઓમાંથી આશરે 5500 જેટલા દાવા જિલ્લા સમિતિએ મંજૂર કરીને દાવેદારોને તેની સનદો પણ આપી દીધી છે. પરંતુ બાકીના દાવાઓ માટે ગીર ફાઉન્ડેશનની ભલામણ તો ઘણા સમય પહેલા આવી ગઇ હોવા છતાં આ દાવાઓ હજુ સુધી મંજૂર કરવામાં આવ્યા નથી. આથી અમારી તમામ દાવાઓ તાત્કાલિક ધોરણે પ્રાંત અને જિલ્લા કક્ષાની સમિતિઓમાં મંજૂર કરવામાં આવે દાવેદારોને તેના આદેશપત્રો આપી દેવામાં આવે ની માંગ

ગીર ફાઉન્ડેશને ભલામણ કરેલ ક્ષેત્રફળ કરતાં ઓછું ક્ષેત્રફળ મંજૂર કરવાનો પ્રશ્ન છે તેનો નિકાલ લાવવા જે દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાંથી ઘણા ,કેસોમાં પ્રાંત તેમજ જિલ્લા કક્ષાની સમિતિએ કોઇ કારણ વગર જ ગીર ફાઉન્ડેશને ભલામણ કરેલા ક્ષેત્રફળમાં ઘટાડો કરીને એનાથી ઘણું ઓછું ક્ષેત્રફળ મંજૂર કર્યું છે.

નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સની એક ટીમ જિલ્લાની મુલાકાતે આવેલી. ત્યારે એ ટીમે પણ બેમાંથી જે ઓછું હોય તે ક્ષેત્રફળ આપવાની વાત કાયદા વિરુદ્ધની છે એમ જણાવ્યું હતું. તેમ છતાં હજી સુધી આ પ્રશ્ન ઉકેલાયો નથી. ગીર ફાઉન્ડેશન દ્વારા ભલામણ કરેલ 2005 પહેલાંથી ખેડાણ નીચેનું ક્ષેત્રફળ મંજૂર કરવામાં આવે.

2005ની ઇમેજરી ઉપલબ્ધ નથી એવા દાવાઓનો પ્રશ્ન ઉકેલવામાં આવે

આ ઉપરાંત, લગભગ 3000 દાવા એવા છે, જેનો ડેટા ઘણા વખતથી ગીર ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ એણે હજી સુધી એની ચકાસણી કરીને પોતાના અહેવાલ આપ્યા નથી. આ પૈકી 2500 દાવા એવા છે, જેમના કિસ્સામાં ટેકનીકલ ખામીને કારણે NRSA પાસેથી 2005ની ઇમેજરી ઉપલબ્ધ થતી નથી. પરંતુ બાકીના દાવાઓમાં તો NRSAની ઇમેજરી ઉપલબ્ધ છે, તેમ છતાં હજી સુધી તેની ચકાસણી કરવામાં આવી નથી. જે કેસોમાં NRIAની ઇમેજરી નથી એ કેસોમાં પણ ગુગલઅર્થની 2006ની ઇમેજરી તો ઉપલબ્ધ હતી જ, અને કેન્દ્ર સરકારની 2015ની ગાઇડલાઇન્સમાં એન.આર.એસ.એ. ઉપરાંત ગુગલની ઇમેજરીને પણ ધ્યાનમાં લઇ શકાય એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આમ છતાં, અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગીર ફાઉન્ડેશન દ્વારા આ દાવાઓ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી .
આદેશપત્રોવાળી જમીનોની આખરી માપણી કરીને સ્થળ પર હદનિશાનના પત્થર લગાવીને અધિકારપત્રો આપવાનો પ્રશ્ન ઉકેલવામાં આવે.

ગામના રેકોર્ડમાં એન્ટ્રીનો પ્રશ્ન ગામના રેકોર્ડમાં જે એન્ટ્રીઓ થઇ છે તેમાં જમીનના કબ્જેદાર તરીકે વન વિભાગ (કે જંગલ ખાતું) નું જ નામ ચાલુ રાખવામાં આવે છે અને જેમને અધિકાર મળ્યા છે એ દાવેદાર પતિ/પત્નીના નામ તો બીજા હક્કની કોલમમાં જ દાખલ કરવામાં આવે છે. એટલું જ નહીં, ફોરેસ્ટના આખા સર્વે નંબર માટે એક જ 7-12 નીકળે છે અને એ સર્વે નંબરની જમીનમાં જેટલા દાવેદારોના દાવા મંજૂર થયા હોય (જે 100 કે તેથી વધારે પણ હોઇ શકે) તે બધાના નામ એક જ 7-12માં બીજા હક્કોની કોલમમાં દર્શાવવામાં આવે છે અને દરેક દાવેદારના પ્લોટોના અલગ 7-12 પણ નથી નીકળતા અને 8અના ઉતારા તો નીકળતા જ નથી. આવી એન્ટ્રીનો કોઇ અર્થ જ નથી અને એનાથી લોકોને ખેડૂત તરીકેના કોઇ લાભ કે લોન નહીં મળી શકે કે જામીન તરીકે રહેવા માટે પણ એ કામ નહીં આવી શકે. ઉપરાંત, વારસાઇ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ ઊભી થશે. આવી એન્ટ્રીઓ વન અધિકાર કાયદાની જોગવાઇઓનો પણ ભંગ કરે છે, જે સ્પષ્ટપણે લોકોને કબ્જા નીચેની જમીન ધારણ કરવાનો એટલે કે કબ્જેદાર બનવાનો અધિકાર આપે છે (કાયદાની કલમ 3(1)(એ) મુજબ), અગાઉ 1992ના સરકારી ઠરાવના આધારે આપવામાં આવેલી જમીનોની સનદોના અનુસંધાનમાં જે એન્ટ્રીઓ પાડવામાં આવેલી તેમાં તો ખેડૂતોના નામ કબજેદાર તરીકે જ દર્શાવાયા છે અને દરેક પ્લોટના અલગ 7-12 તેમજ દરેક કુટુંબના અલગ 8અ પણ નીકળે છે. વન અધિકાર કાયદા હેઠળ રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પાડવાની અત્યારની પદ્ધતિમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે અને એને બદલે દાવેદાર પતિ-પત્નીના નામ જમીન ધારક કે કબજેદાર તરીકે દાખલ થાય અને દરેક દાવેદારના અગલ 8-અ અને દરેક પ્લોટના અલગ 7-12ના ઉતારા નીકળે એવી પદ્ધતિ અપનાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે. એની સાથે બીજા હક્કની કોલમમાં આ જમીનો વેચાણ કરી શકાશે નહીં અને ફક્ત વારસાઇ જ થઇ શકશે એવી શરત મૂકવામાં આવે ની માંગ કરવામાં આવી છે.

સામુદાયિક અધિકારોની માન્યતા અને ગૌણ વન પેદાશોના નિકાલ માટેના વાહતુક પાસનો પ્રશ્ન

સામુદાયિક અધિકારોને માન્યતા આપવાની બાબતમાં નર્મદા જિલ્લામાં ઘણું સારું કામ થયું છે અને કુલ 200 જેટલી ગ્રામસભાઓને ગામના પૂરેપૂરા વન વિસ્તાર પરના બધા સામુદાયિક અધિકારોને માન્યતા આપવામાં આવી છે અને તેના અધિકારપત્રો પણ સૌને આપી દેવામાં આવ્યા છે. તેમાં વાંસ અને ટીમરુ પાન સહિતની તમામ ગૌણ વનપેદાશો પર ગ્રામસભાનો માલિકી હક્ક પણ આપવામાં આવ્યો છે. અને આ પેદાશો એકઠી કરવાનો, ઉપયોગમાં લેવાનો તેના પ્રોસેસીંગ કરવાનો અને તેનો નિકાલ (વેચાણ) કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. આ તમામ સામુદાયિક અધિકારોની પણ ગામના રેવન્યુ રેકર્ડમાં સામુદાયિક વન (CFR) તરીકે એન્ટ્રી કરવામાં આવે.

બીજું, ગૌણ વન પેદાશોના વાહતુક માટે વાહતુક પાસ પણ ગ્રામસભા જ આપી શકે તે માટે હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વન અધિકાર કાયદાના સુધારેલા નિયમોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ગૌણ વન પેદાશોના વાહતુક માટેની ટ્રાન્સીટ પરમીટ આપવાની વ્યવસ્થા સુધારીને તે આપવાની સત્તા ગ્રામસભાએ કલમ 4(1)(ઇ) નીચે રચેલી સમિતિને અથવા ગ્રામસભા જેને અધિકૃત કરે તે વ્યક્તિને આપવામાં આવશે, આમ છતાં આપણા રાજ્યમાં આ અંગે હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. મહારાષ્ટ્રમાં એમાં સુધારો કરીને વન વિભાગ તરફથી જ આ ટ્રાન્સીટ પરમીટ માટેની બુકો છાપીને ગ્રામસભાને સોંપી દેવામાં આવી છે. આથી અમે માંગણી કરીએ છીએ કે આપણે ત્યાં પણ આ વ્યવસ્થા અપનાવવામાં આવે અને ટ્રાન્સીટ પરમીટ આપવાની સત્તા સામુદાયિક વન અધિકારો ધરાવતી ગ્રામસભાઓને સોંપી દેવામાં આવે. આ માટે કાર્યવાહી શરૂ કરવા માટે વન વિભાગને જરૂરી સૂચના આપવા વિનંતી છે.

વન વસાહતના ગામોને રેવન્યુ ગામોમાં તબદીલ કરવા બાબતે કલમ 3(1)(જી) નીચે વન વસાહતોનાં ગામોને રેવન્યુ ગામોમાં તબદીલ કરવા માટે હજુ સુધી ખાસ કોઇ કાર્યવાહી થઇ નથી. થોડાં વરસો અગાઉ ગ્રામસભા દ્વારા આ ગામોમાં આવેલ વનખાતેદારોની જમીનોને પોતાના ગામમાં જ કે પડોશના રેવન્યુ ગામમાં દાખલ કરવા માટેના ઠરાવ કરાવવામાં આવેલા. પરંતુ તે અંગે આગળ શું કાર્યવાહી થઇ છે એ અંગે કોઇ જાણકારી મળી નથી. અને આમ પણ, ફકત વન ખાતેદારોની જમીનોને પડોશના રેવન્યુ ગામમાં સામેલ કરી દેવી એ પૂરતું નથી ખરેખર તો ગામના આખા ભૌગોલિક વિસ્તારને રેવન્યુ ગામ જાહેર કરવામાં આવે એ જરૂરી છે જેમાં વન ખાતેદારોની જમીનોને ખેતીની રેવન્યુ જમીન ગણવામાં આવે અને બાકીની જમીનો જંગલ જમીન ગણવામાં આવે અને એમાં જે વ્યક્તિગત તેમજ સામુદાયિક અધિકારોને માન્યતા આપવામાં આવી છે તેને લગતી ગામના રેકોર્ડમાં એન્ટ્રીઓ પણ પાડવામાં આવે.

ટુરીઝમ કે વિકાસ યોજનાઓ માટે જંગલ જમીનની ફાળવણી કરતી વખતે ગ્રામસભાની મંજૂરી લેવા માટે સ્ટેટ્યૂ ઓફ યુનીટી થી સાપુતારા કોરીડોર નીચે સેન્ચ્યુરી તેમજ જંગલોમાંથી નવા રસ્તાઓ તૈયાર કરવાની વાતો ચલતી હોય ને આ અંગે તમામ ગામોને પોતપોતાનાં ગામોનાં જંગલો માટે વ્યવસ્થાપન કરવાના અધિકાર સાથેના તમામ સામુદાયિક અધિકારો મળી ગયા છે. એ ધ્યાને લઇને આવી કોઇ પણ યોજનાનો અમલ શરૂ કરતાં પહેલાં એ માટે ગ્રામસભાની પરવાનગી મેળવવા મા આવે ની માંગ પણ આવેદન પત્ર માં કરવમાં આવી છે.

જિલ્લામાં ટુરીઝમનો વિકાસ થાય એમાં કોઇ વાંધો નથી. પરંતુ એ કરતી વખતે જંગલોને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવાની જરૂર છે.
આવેદન પત્ર પાઠવી પોતાની માંગણીઓ નો ઝડપી ઉકેલ લાવવા નો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાલાઘોડા થી આદિવાસીઓની નીકળેલ રેલી મા હજારો ની સંખ્યામાં આદીવાસીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here