દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ ટ્રેનો દોડાવાઈ : માત્ર ચાર દિવસમાં ૩૯ ટ્રેનો દ્વારા શ્રમિકોને યુ.પી-બિહાર-ઝારખંડ અને ઓડીશા રવાના કરાયા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ,ખાસ વિશેષ રેલ વ્યવસ્થા શ્રમિકોને અનુલક્ષીને કરાઈ છે

પરપ્રાંતીયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચાડવા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એ જરૂરી

બુધવારે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાથી વધુ ૩૦ ટ્રેનો રવાના થશે : ૮૨,૮૦૦ શ્રમિકો વતન પહોંચશે

પ્રથમ તબક્કામાં વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લવાશે : પ્રવાસન સચિવશ્રી મમતા વર્માને સંકલનની જવાબદારી સોંપાઇ

મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાના કલેકટરશ્રીઓને પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ઝડપથી કરવા માટે સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકારનો આ માનવીય અભિગમ સરાહનીય પહેલ છે. લાખો શ્રમિકો પોતાના વતન શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે એ હેતુને સાર્થક કરવા સરકાર ખડે પગે કાર્યરત છે. આ અંગેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે ઉમેર્યું કે ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકોને તેમના વતન પહોચાડવા રેલવે અને ખાનગી બસોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, ગુજરાતમાં વસતા પરપ્રાંતિય તેના વતનમાં પહોંચે તે માટે રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દીધી છે ત્યારે, પરપ્રાંતીયો પણ ધીરજ રાખીને સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે સંયમતાપૂર્વક આપનો સહયોગ અત્યંત અનિવાર્ય છે. તમામ લોકો જેઓ જવા ઇચ્છે છે તે પોતાના વતન ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે એ માટે જિલ્લા વહીવટી તંત્રને ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે.

તેમણે કહ્યું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધુ ટ્રેન યુ.પી., બિહાર, ઝારખંડ અને ઓડીશા જવા રવાના થઇ છે. માત્ર ચાર દિવસમાં ૩૦થી વધુ ટ્રેનો સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી રવાના થઇ છે. જેના દ્વારા ૪૬ હજારથી વધુ શ્રમિકો રવાના થયા છે. બુધવારે વધારાની બીજી 30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રવાના થશે એટલે આવતીકાલ સુધીમાં અંદાજે ૮૨,૦૦૦થી વધુ શ્રમિકો પોતાના વતન પહોંચશે. શ્રમિકોએ ગભરાવાની જરૂર નથી. માત્ર વહીવટી તંત્રને સહયોગ આપવાની જ જરૂર છે. અત્યાર સુધીમાં રેલવે, બસ દ્વારા કુલ ૩.૨૫ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન જવા રવાના કરી દેવાયા છે એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે પરપ્રાંતિયોને અપીલ કરતા કહ્યું કે, રાજ્યનું વહીવટી તંત્ર ખૂબ જ સંવેદના સાથે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યું છે ત્યારે, આપ સૌ અધીરા ન બનો અને રોડ પર ન આવો તથા ખોટા સંઘર્ષમાં ન ઉતરો એ જરૂરી છે. ખાસ પ્રકારની વિશેષ રેલ વ્યવસ્થા ગોઠવાય છે એટલે એનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી ૧૦થી ૧૫ દિવસ સુધી ચાલશે અને જરૂર જણાશે તો વ્યવસ્થા લંબાવીને પણ તમામને પોતાના વતન પહોંચાડવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. જેમાં ઓડીશા, યુ.પી. અને ઝારખંડ સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરાઈ રહી છે એટલે શ્રમિકોએ પૂરતો સહયોગ આપવો. શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા સામેથી ફોન, મેસેજ કે સમાજના અગ્રણીઓ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે એ જ સમયે આપને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. ટોળા ભેગા કરીને રોડ પર આવવાથી કોઈ ફાયદો થવાનો નથી માત્રને માત્ર આપે સંયમ રાખવાની જરૂર છે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે અન્ય દેશોમાં પ્રવાસે ગયેલા કે અન્ય કારણોસર ફસાઈ ગયેલા ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરત આવવા ઈચ્છુક ગુજરાતીઓએ જે તે દેશના ઇન્ડિયન મિશનમાં નોંધણી કરાવવાની રહેશે. એટલું જ નહિ, ફ્લાઇટની ટિકિટ પ્રવાસીએ સ્વખર્ચે ખરીદવાની રહેશે. આ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં તારીખ ૭મી મેથી વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી શરૂ થશે જેમાં, ફિલિપાઇન્સથી ૨૫૦ મુસાફરો, અમેરિકાથી ૬૦૦ મુસાફરો, સિંગાપુરથી ૨૫૦ મુસાફરો, યુકેથી ૨૫૦ મુસાફરો અને કુવૈતથી ૨૦૦ મુસાફરોને ભારત લવાશે. આ પરત આવનાર તમામ મુસાફરોની ખાસ તબીબી તપાસ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનના સંચાલનની જવાબદારી પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને સોંપવામાં આવી છે તેમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here