રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
વીજ કંપની ના 44 થાંભલા ભારે પવન ફુંકાતા જમીન દોસ્ત કામગીરી હાથ ધરાઇ
દેડિયાપાડા અને સાગબારા તાલુકાના 24 ગામોના 52 જેટલા મકાનોને નુકશાન ધરો ના પતરા ઉડયા દિવાલો ધરાશાયી થઇ
DGVCL દ્વારા નુકશાન પામેલ 44 વિજ થાંભલાઓના સ્થાને નવા વિજ થાંભલા ઉભા કરીને વિજ પૂરવઠાનું કરાયું પુન: સ્થાપન : વિજ સમસ્યા દૂર કરવા ૭ ટૂકડીઓ કાર્યરત
ગુજરાતમાં “તાઉ-તે“ વાવાઝોડાના પગલે અને તેની અસરના ભાગરૂપે રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફુંકાતા અનેક સથળો એ નુકશાન થયાનું જાણવા મળ્યું છે.
જોકે ખાસ એવી કોઇ નોંધપાત્ર દુર્ઘટના સર્જાયેલી નથી કે કોઇ જાનહાનિ-પશુહાનિ નોંધાયેલ નથી. દેડિયાપાડા તાલુકાના 22 ગામોના અંદાજે 48 મકાનો અને સાગબારા તાલુકાના બે ગામના અંદાજે 4 મકાનો સહિત જિલ્લામાં કુલ- 24 ગામોના અંદાજે 52 જેટલા મકાનોને નુકશાન થયેલ હોવાના પ્રાથમિક અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા કલેક્ટરાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન એકમની કચેરી ખાતે જિલ્લાકક્ષાએ અને દરેક તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તાલુકાકક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત છે. “ તા-ઉતે “ વાવાઝોડા બાદ જિલ્લામાં જે તે વિસ્તારમાં મકાનોને ઓછે-વત્તે અંશે થયેલા નુકશાનના અંદાજો મેળવવા માટે જિલ્લા પ્રશાસન દ્વ્રારા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે અને ત્યારબાદ ઉક્ત સર્વેક્ષણના આધારે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અસરગ્રસ્તોને મકાન સહાય તેમજ નિયમાનુસાર ઘરવખરીની સહાય ચૂકવવા માટે પણ જરૂરી દિશા-નિર્દેશો કરી દેવાયાં છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દેડિયાપાડા તાલુકામાં તાલુકા પંચાયતની બે ટૂકડી અને મામલતદાર કચેરીની 1 ટૂકડી સહિત કુલ-3 ટૂકડીઓ દ્વ્રારા નુકશાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરાઇ છે. તેવી જ રીતે સાગબારા તાલુકામાં મામલતદાર કચેરીની 1 ટૂકડી અને તાલુકા પંચાયતની 2 ટૂકડી સહિત કુલ-3 ટૂકડીઓ દ્વ્રારા નુકશાનીના અંદાજ મેળવવાની કામગીરી કરવાની સાથે ગામ લોકોને ભયજનક સ્થળેથી દૂર રહેવા અને તે અંગેની લોકોમાં જાગૃતિ કેળવવાની કામગીરી પણ થઇ રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ માર્ગ અને મકાન વિભાગની 2 ટૂકડીઓ દ્વ્રારા દેડિયાપાડા તાલુકામાં બ્લોક થયેલાં રસ્તાને ખૂલ્લા કરવાની કામગીરી થઇ રહી છે. આ ટૂકડીઓ તરફથી મોરજડી ખાતેના બે રસ્તાઓ ખૂલ્લા કરીને તેને પૂર્વવત્ કરાયાં છે. તેવી જ રીતે વન વિભાગના RFO ની 7 જેટલી ટૂકડીઓ દ્વારા વન વિભાગના રસ્તાઓ પરના અવરોધો દૂર કરીને તેને પૂર્વવત્ કરવામાં આવી રહ્યાં છે. કોકમ અને કંઝાલ ગામનો રસ્તો પણ ખૂલ્લો કરાયો છે.
દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. ના રાજપીપલા ખાતેના કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ઉક્ત વાવાઝોડાના પગલે ગઇકાલે જિલ્લામાં કુલ-23 જેટલા વિજ થાંભલાઓને નુકશાન થતા તાત્કાલિક નવા વિજ થાંભલાઓ ઉભા કરીને જે તે વિસ્તારનો વિજ પૂરવઠો પુન: પૂર્વવત કરાયો હતો. તેવી જ રીતે આજે પણ 21 જેટલા વિજ થાંભલાઓને નુકશાન થતાં નવા વિજ થાંભલાઓ ઉભા કરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી આ વિસ્તારોમાં પણ વિજ પૂરવઠાનું પુન: સ્થાપન કરાયેલ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. જિલ્લામાં DGVCL ની 7 જેટલી ટૂકડીઓ દ્વ્રારા ઉક્ત કામગીરી થઇ રહી છે.
નુકશાનના સર્વે કરી અસરગ્રસ્તો ને તવરિતજ સહાય ચુકવવા નર્મદા કલેક્ટરના આદેશ
નર્મદા જીલ્લા કલેક્ટર ડી.એ.શાહે નર્મદા જીલ્લા મા વાવાઝોડા ની અસર થી જે લોકો ને નુકશાન થયુ છે જેમના ધર ના છાપરા ઉડયા હોય દિવાલો ધરાશાયી થઇ હોય સહિત ના અન્ય નુકશાન ના સર્વે કરવા રેવન્યુ વિભાગ ની ટીમો ને કામે લગાડી છે.
દેડિયાપાડા અને સાગબારા તાલુકા મા અનેક ધરો ને નુકશાન થયેલ છે તયારે તેમના સરવે થતા સરકાર ના ધારાધોરણો અનુસાર ની સહાય અસરગ્રસ્ત ને આપવાની દિશા માં ચક્રો ગતિમાન થયા છે.