છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર નગરમાં આવેલ લાઇબ્રેરી રોડ ઉપર મસ્જિદ પાસે રસ્તાની વચ્ચે નીચેના ભાગે એક મોટી ગટર પસાર થાય છે જ્યાં આગળ છેલ્લા બે મહિનાથી ગટર ઉપર બેસાડવામાં આવેલી લોખંડની જાળી વળી ગઈ અને તૂટી ગઈ છે. જે ના કારણે રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આ તૂટેલી જાળી રીપેર કરવાનો કે નવી જાળી બેસાડવાનો સમય તંત્ર પાસે નથી. જે જેના કારણે અકસ્માત થવાનો ડર પ્રજામાં અને રાહદારીઓમાં ઘર કરી રહ્યો છે. બે દિવસ અગાઉ આ જગ્યા ઉપર એક મારુતિ વાનનું આગલું વિલ ગટરમાં ઉતરી ગયુ હતું. જેના કારણે વાહન માલિકને ભારે નુકસાન થયું હતું અને જેને જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા ભારે મુસીબત બાદ આ ફસાયેલી કાર ને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈ ઇજા થઈ નહીં પરંતુ તંત્ર અકસ્માત થવાનો રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે નગરમાં આવેલ મુખ્ય માર્ગ પર આ સ્થિતિ હોય છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
છોટાઉદેપુર નગરમાં આવેલ લાઇબ્રેરી રોડ ઉપર મસ્જિદ પાસે જે ગટર પસાર થાય છે ત્યાં નજીકમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જેમાં બાળકો અભ્યાસ કરે છે જેઓને લેવા મુકવા ઘણાના વાલી આવતા જતા હોય તથા અભ્યાસ કરતા બાળકો પણ આ રસ્તે ચાલીને શાળાએ આવતા જતા હોય છે. મુખ્ય માર્ગ હોય નિરંતર ટ્રાફિક ચાલુ રહેતો હોય તેવા સમયે આ ગટર ઉપર તૂટેલા ઢાંકણા અને જાળી જે કોઈ વાહનની ટક્કરથી ખસી જાય તેમ છે જો આવું બને તો વાહન ચાલક વાહન સાથે ગટરમાં પડવાની શક્યતાઓ રહેલી છે અને કોઈને ઈજા થાય તે વધુ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ એક પ્રશ્ન થઈ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ઘણી જગ્યાએ માર્ગો ઉપર ગટરો ખુલ્લી જોવા મળી રહી છે જેને બંધ કરાવી ગણી આવશ્યક છે માત્ર ઢાંકણા જ બેસાડવાની કામગીરી કરવાની હોય પરંતુ તે પણ તંત્ર પાસે સમય નથી માત્ર લાખો કરોડોના ખર્ચે નવા કામો મંજૂર કરી દેવામાં આવે છે તેમાં પણ ભલીવાર જોવા મળતો નથી અને પાલિકાએ ટીકાને પાત્ર બનવું પડે છે. જ્યારે કૌભાંડો બહાર આવતા હોય અને આક્ષેપો થતા હોય તે સામાન્ય બાબત થઈ પડી છે પરંતુ પ્રાથમિક સુવિધા બાબતે નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ નગરના માનવામાં આવતા નેતાઓ પ્રજાની સમસ્યાઓ ઉપર નજર રાખી તેનું નિરાકરણ લાવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.