કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા પંદર દિવસથી કોઈ પોઝીટીવ કેસ પ્રકાશમાં નહીં આવતા સંક્રમણની ચેઈનની રફતાર મંદ પડી ગઈ હોવા અંગે તંત્ર અને લોકોને મોટી રાહત હતી. પરંતુ લાંબાગાળાના વિરામ બાદ ગુરૂવારે સાંજે તાલુકાના બેઢીયા ગામના વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બેઢીયા ગામના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. મોટા બેઢીયા ગામના મોદી ફળીયાનો રહીશ હરિશકુમાર કનકસિંહ ચૌહાણ(ઉ.વ ૨૮) જે વડોદરા સ્થિત એક ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો, જે દરમિયાન જ ચાલું સપ્તાહે તેની તબિયત નાદુરસ્ત બનતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દવા પણ કરાવી હતી. પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં બુધવારે તેનો સેમ્પલ લેતાં તેનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જેથી તંત્રએ યુવકને કોરોના સારવાર અર્થે ગોધરા સ્થિત કોરોના હોસ્પિટલમાં કોરોના સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ સંક્રમણ થંભી ગયેલુ દેખાય છે કેમ કે પાછલા પંદર દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્યારે કાલોલ શહેરમાં પાછલા પંદર દિવસમાં પાછલા સપ્તાહમાં ત્રણ કેસો મળી કુલ ૧૦ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આઠમો પોઝીટીવ કેસ નોંધાયો હતો જે પૈકી ૨ મોત અને ૧૩ ડિસ્ચાર્જ પછી હાલમાં ત્રણ કેસો સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.