ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
દેશમાં અનેક રાજ્યો અને વિસ્તારોમાં ઘણા સમયથી અને વારંવાર આદિવાસી સમાજની બહેન દિકરીઓ તથા નાગરિકો ઉપર અત્યાચાર અને જુલમ કરવાના બનાવો બની રહ્યા છે. જેને અટકાવવા માટે દોષિતો ઉપર ખાસ કોઈ કઠોર પગલાં સરકાર દ્વારા ભરવામાં આવતાં નથી તેથી દેશમાં સમગ્ર આદિવાસી સમાજ નારાજ થયો છે તેથી આવા બનાવો અટકાવવા માટે સરકારને ધ્યાનમાં દોરાવવા આદિવાસી સમાજના નેતા ચૈતરભાઇ વસાવાએ ગુજરાતમાં એક દિવસ માટે બંધનું એલાન જાહેર કર્યું હતું અને આદિવાસી સમાજને અપીલ કરવામાં આવી હતી કે, એક દિવસ એટલે કે રવિવારના રોજ પોતાના વેપાર ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી સરકારને પોતાની નારાજગી બતાવો અને બંધને સફળ બનાવો. સાથે સાથે આદિવાસી સમાજના આગેવાનો, વિવિધ રાજકીય આગેવાનો તથા અન્ય સમાજના આગેવાનો અને નાગરિકોને પણ અપીલ કરી હતી કે આદિવાસી સમાજને સમર્થન આપો અને બંધના એલાનમાં જોડાવો. જેના પગલે આજ રોજ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં બંધને સમર્થન જોવા મળ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશભાઇ બારીઆએ પણ સોશિયલ મીડિયામાં વિડિયો બનાવીને અપીલ કરી હતી કે, સૌ સમાજના આગેવાનો અને નાગરિકોએ પણ બંધને સમર્થન આપવું જોઈએ. કોઈ પણ સમાજ હોય તેના ઉપર કોઈ અત્યાર, જુલમ કે અન્યાય ના થવો જોઈએ. ખાસ કરીને મણિપુર રાજ્યમાં આદિવાસી બહેનો સાથે જે પ્રમાણે ઘટનાઓ બની છે તે અત્યંત ધૃણાસ્પદ છે. કોઈ પણ સરકાર હોય આવી ઘટનાઓ બીજી વાર ના બને તે માટે દોષિતો સામે કઠોર પગલાં ભરવા જોઇએ તેવી માંગ સાથે સરકારનું ધ્યાન દોરાવા એક દિવસ સ્વૈચ્છિક બંધના એલાનને સમર્થન આપવાની વાત કરી હતી.
આજે બોડેલી સહિત પંચમહાલમાં પણ ઘણા વેપારીઓએ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હોવાનું દેખાયું હતું. ઘણી બજારોમાં સજ્જડ રીતે બંધનું પાલન કર્યું હતું. વેપારીઓ અને નાના દુકાનદારો ઉપર કોઈ પણ પ્રકારનું દાબ દબાણ નહતું છતાં જે પ્રકારે સમર્થન મળ્યું છે તે સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.