ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં તળાવ બનાવી માતૃશ્રી હીરાબા સરોવર નામકરણ કરતા નગરજનોમાં જનઆક્રોશ…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર આર પાધ્યા :-

જો આ નામ કરણની તકતી નઇ હટાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીજીના 75મા જન્મદિવસે શ્રીસરસ્વતી નદીના પટમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત તળાવને માતૃશ્રી હીરાબા સરોવરનું નામ કરણ કરી તકતીનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં જનાઆક્રોશ જોવા મળી રહ્યો છે.

માતૃગયા તીર્થ ધામ, ભગવાન શ્રીકપિલ મહામુનિ ની જન્મ સ્થળી, કર્દમ ઋષિ, માતા દેવહુતી તેમજ અનેક ઋષિ મુનિ, સાધુ સંતો,મહંતો અને ભૂદેવોની તપોભૂમિ તેમજ ભગવાન સદાશિવ ભોળાનાથની નગરી શ્રીસ્થળ તરીકે જગવિખ્યાત ઐતિહાસિક સિદ્ધપુર શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી વેદ પુરાણ પ્રસિદ્ધ પ્રાચી શ્રીસરસ્વતી નદીના કિનારે સ્થિત અતિ પ્રાચીન શ્રીમાધુપાવડિયા ઘાટ અને સ્વયંભૂ શ્રીભ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર પરિસર પાસે બનાવાયેલ ચેકડેમમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના પૂજનીય માતાજી સ્વ.હીરાબાના નામે ભારતનું સૌ પ્રથમ માતૃશ્રી હીરાબા સરોવરનું રાજ્યના મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ કરી શહેરના નાગરિકોને ભેટ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ૨૦ વર્ષ પહેલાં સન ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીએ ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમીના પવિત્ર દિવસે આજ જગ્યાએ લોકમાતા સરસ્વતી નદીના પટમાં ત્રિવેણી સંગમ પુણ્ય સલીલા (માં રેવા)નર્મદા નદી અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક કરી સરસ્વતી,નર્મદા, અને સાબરમતી નદીનો મહા ત્રિવેણી સંગમનો ભવ્ય કાર્યક્રમ કર્યો હતો અને કેટકેટલાય વર્ષોથી સૂકિભટ્ટ બનીગયેલી સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ત્યાર બાદ લગભગ ૨૦ વર્ષ સુધી શહેરના આંતરિક રાજકારણ અને ખોટા જસ ખાટવાના ચક્કરમાં આ સરસ્વતી નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું હતું. સ્થાનિક પ્રશાસનની લાપરવાઈના કારણે આ સરસ્વતી નદી ફરીથી સૂકિભટ્ટ તેમજ જંગલી ઝાડી ઝાંખલા, આકડિય અને બાવળિયાનું જંગલ બની જવા પામી હતી માત્ર કારતક મહિનામાં કાર્તિકી પર્ણિમાએ ભરાતા લોક મેળાની આવાકનું સાધન બનાવી દીધી હતી, અને હદતો ત્યાં સુધી થઈ કે આ નદી માતાને ઘન કચરાની ડમ્પીંગ સાઈડ બનાવી દીધી હતી આતો ભલું થજો ન્યાપ પાલિકાનું કે તેઓએ કઠોર શબ્દોમાં ટકોર કરી સ્થાનિક પ્રશાસનને નોટિસ ઠપકારી હતી.
જ્યારે વર્તમાનમાં લગભગ બે દાયકા બાદ સરકાર દ્વારા નવી યોજના બનાવી આ કુંવારીકા સરસ્વતિ નદીના પટમાં બનાવાયેલ ચેકડેમમાં પાણી ભરી માતૃશ્રી હીરાબા સરોવર નામ કરણ થતાં (તકતી વાગતા) સ્થાનિક નગરજનો તેમજ આજુ બાજુના ગ્રામજનોમાં ખુબજ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ ધાર્મિક નગરી સિદ્ધપુર માંથી પસાર થતી વેદમાતા સરસ્વતી નદીનો આપણા વેદો,પુરાણો તેમજ અનેક ધર્મ ગ્રંથોમાં ખુબજ પવિત્ર અને કુવારીકા નદી તરીકેનો ઉલ્લેખ જોવામળે છે તો આ જગ્યાને સરોવર તરીકેની ઓળખ આપવી યોગ્ય નથી. આ સરસ્વતી નદીને અહીંના સ્થાનિક લોકો પોતાની માતાની જેમ માને છે અને તેને પૂજે પણ છે તેમજ આ સરસ્વતી નદીના પટમાં અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો સહિત કારતક મહિનામાં મેળાઓ ભરાય છે. અહી સનાતની હિન્દુ સમાજ પોતાના મૃતક સ્વજનોની અસ્થી વિસર્જન, પિંડદાન તેમજ માતૃગયા શ્રાદ્ધ કર્મ કરવા સમગ્ર ભારત સહિત દેશ વિદેશમાથી જાત્રાળુઓ અહી આવે છે અને માઁ ની મહિમાનો ગુણગાન ગાય છે, તો આવા પવિત્ર સ્થળને વિકાસના નામે શહેરના નાગરિકોને અંધારામાં રાખી અમુક ચોક્કસ લોકોએ પોતાનું અંગત હીત સાધવાના ચક્કરમાં રાતો રાત કોઈને પણ જાણ નાં થાય તે રીતે વહીવટી તંત્ર દ્વારા આ જગ્યાનું તળાવ તરીકે નામકરણ કરવું એ યોગ્ય નથી. આપણા દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજી અને તેમની સ્વ.માતૃશ્રી હીરાબાનું અમો અમારી માતા જેટલું સન્માન અને આદર ભાવ રાખીએ છીએ પરંતુ લોકમાતા સરસ્વતી નદીના ચેકડેમમાં વરસાદી પાણી ભરી તેનું નામ કરણ કરવું યોગ્ય નથી આ ગામની રાષ્ટ્રવાદી સનાતની હિન્દુ પ્રજા સભ્ય અને સમજુ છે આગામી સમયમાં ભાજપને નગરપાલિકાના ઇલેક્શનમાં ખુબજ તકલીફ પડશે લોકોમાં ખુબજ નારાજગી છે તેમાંય ખાસકરી યુવાઓ, વડીલો તેમજ મહિલા વર્ગમાં તો આક્રોશ શમાતો નથી એ છડે ચોક નરી આખે દેખાઈ રહ્યો છે. આના માટે નગરની જાગૃત પ્રજાજનોએ સ્થાનિક ભાજપના શહેર પ્રમુખ, નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર બલવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળી પોતાનો રોષ ઠાલવ્યો હતો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સી.એમ.ઓ અને પી.એમ.ઓ ઓફિસમાં પણ રજૂઆત કરી છે. જો આ જગ્યાનું જે જૂનું નામ હતું (શ્રી મધુપાવડિય ઘાટ કે શ્રી સરસ્વતી રિવર ફ્રન્ટ ) તે જો નહિ કરવામાં આવેતો ઉગ્રઆંદોલન કરવાની ચિમકીઓ પણ ઉચ્ચારાઇ રહી છે. પૂજ્ય હીરાબાના નામે હીરાબા ઘાટ, હીરાબા ઉપવન, હીરાબા ભવન, હીરાબા ઉદ્યાન જેવું નામ રખાય પણ માઁ સરસ્વતી નદી માતાને સરોવર નામ આપી માઁ ની મહત્વતા ઓછી કરવી એ યોગ્ય નથી આ વિરોધનો લાભ લેવા શહેરમાં મૃતપાય બનેલી કોંગ્રેસ અને નવી નવી માર્કેટમાં આવેલી આમ આદમી પાર્ટી બેઠે બેઠા લોલીપોપ સમજી મુદ્દાને ચગાવી રહી છે તો રાજ્ય અને દેશની સંવેદનશીલ સરકારને સિદ્ધપુર વાસીઓની એક નમ્ર અપીલ પણ છે કે આ વિષયની ગંભીરતા જાણી લોક આસ્થાની મર્યાદા જળવાય તે જરૂરી છે બાકી આવનારો સમય સિદ્ધપુરમાં ભાજપને આ જનઆક્રોશ ભારે પડે તો કોઈ નવાઈ નઇ હોય.
તેમજ સિક્કાની બીજીબાજુ આ માતૃશ્રી હીરાબા સરોવર બનતા શહેરમાં બીજો વર્ગ એવું પણ માને છે કે અમો સરસ્વતી નદી માતાને સરોવર બનાવી તેનું નામ કરણનો વિરોધ કરીએ છીએ પણ અહીં આવું સુંદર મજાનું આયોજન થતાં લોકમાતા સરસ્વતી નદીનું દ્રશ્ય અલૌકિક દેખાઈ રહ્યું છે, ઐતિહાસિક માધુ પાવડિય ઘાટ મોક્ષ પીપળાથી સ્વયંભૂ શ્રીભ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર પરિસર પાસેના ચેકડેમમાં ચાલુ સાલે વરસાદ સારો પડતા મુક્તેશ્વર ડેમ, ધરોઈ લિંક કેનાલ તેમજ ખોરસમ પાઇપ લાઇન દ્વારા આ ચેક ડેમમાં પાણી ઠાલવતા ફૂલ છલોછલ ભરાઈ ગયો છે. અને ઓવરફ્લો થઈ રહ્યો છે. સુંદર મજાનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે આ ચેકડેમમાં પાણી ભરાતા સિદ્ધપુર શહેર અને આજુબાજુના ગામડાઓના તળ ઉંચા આવશે, પશુ પક્ષીઓને તેમજ ખેતીલાયક જમીનને પીવાલાયક પાણી મળી રહેશે. ટુરિઝમ ને વેગ મળશે, રોજગારની નવી તકો ઉભી થશે શહેરના પૂર્વ વિસ્તારનો વિકાસ થશે અહી આવનાર સનાતની હિંદુંસમાજના જાત્રુઓને તેમના મૃતક માતાપિતાની અસ્થી વિસર્જન તેમજ પિંડદાન માટે નદીનું પાણી આશીર્વાદ સમાન બની રહેશે અહી જ્યારે પાણી નથી હોતું ત્યારે સૂકીભટ્ટ, આકડિયા બાવળિયાઓનું જંગલ બનિગયેલી ગંદકીથી ખદબદતી સરસ્વતી નદીના પટમાં ખાડા ખોદી તેમાં વિસર્જન કરતા લોકોની આસ્થાને ઠેશ પહોચતી હતી જાત્રુઓ ભીની આંખે વેદ પુરાણ પ્રસિદ્ધ પરમ પવિત્ર મોક્ષ દાઈની પ્રાચી સરસ્વતી નદીનો મહિમા જાણી અહી આવતા હતા અને દુઃખી થઈ નિરાશ ભાવે અહીથી જતા હતા. શહેરની સનાતની હિન્દુ પ્રજા તેમજ માઁ સરસ્વતીના સંતાનો પણ પવિત્ર નદીની આવી દુર્દશા જોઈ મનોમન દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા. જ્યારે આજે સમય બદલાયો છે વર્તમાનમાં આપણા દેશના માનનીય વડાપ્રધાન હિન્દુ હર્દય સમ્રાટ લોકલાડીલા શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરદર્શિતા અને માતા સરસ્વતી ઉપર તેમની આસ્થાના કારણે માતૃ ઋણ ચૂકવી રહ્યા હોય તેવી સ્વપ્ન સમાન સિદ્ધપુર સરસ્વતી ધામ જેવી કરોડો રૂપિયાની યોજના અસ્તિત્વમાં આવી છે આનાથી માતૃગયા તીર્થ ધામ (શ્રી સ્થળી) સિદ્ધપુર શહેરની ધાર્મિક મહત્વત્તા અને ઐતિહાસિક ધરોહરોનો વિકાસ થશે શહેરનો માહોલ બદલાશે. અંતે આ આખો વિવાદ માતૃગયા તીર્થ ધામમાં માતાની આસ્થા અને અસ્તિત્વ નો છે. આ વિવાદનો જલ્દીથી સમાધાન થાય અને ઘી ના ઠામ માં ઘી પડે તેમજ શહેરના વિકાસમાં રોડા નાખી અવરોધ ઉભો કરનારને કોઈ મોકો નાં મળે અને ગંદા રાજકારણની આડમાં આ ધર્મનગરીનો વિકાસ ના રૂંધાય તે જરૂરી છે.