ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

NEET-UG પરીક્ષા વિવાદ અને વિદ્યાર્થીઓના દેશવ્યાપી વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આ ઘટનાને ભારતીય લોકશાહીની મહત્વપૂર્ણ જીત ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ સફળતા દેશના યુવાનોના અહિંસક સંઘર્ષ, જનઆંદોલન અને લોકશાહી પરના વિશ્વાસનું પરિણામ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતાં સોનમ વાંગચુકે લખ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે જ્યારે લોકો શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગે પોતાની માંગણીઓ માટે એકજૂથ થાય છે, ત્યારે તેમની અવાજને અવગણવો શક્ય નથી. તેમણે કહ્યું કે આ માત્ર કોઈ વ્યક્તિના રાજીનામાની ઘટના નથી, પરંતુ લોકશાહીની તાકાત અને જનમતની અસરનું પ્રતીક છે.
વાંગચુકે ખાસ કરીને CJP (કોકરોચ જનતા પાર્ટી) સાથે જોડાયેલા કાર્યકરો, દેશભરના વિદ્યાર્થીઓ અને Gen Z યુવાનોના અડગ સંઘર્ષની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે યુવાનો ડર્યા વિના શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે સતત અહિંસક રીતે લડતા રહ્યા, જેના પરિણામે આ મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. તેમણે આંદોલનને સમર્થન આપનાર તમામ જાગૃત નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ સુધારાની શરૂઆત છે. હવે સરકાર દેશની પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવે, પેપર લીક જેવી ઘટનાઓ પર કડક નિયંત્રણ કરે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક સુધારા અમલમાં મૂકે, તેવી તેમણે અપીલ કરી.
