ભાવનગરમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

ભાગનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. એક નિવૃત્ત અધિકારીએ તેમના પરિચિત પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા અને બાળ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે શહેરભરમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.

વિશ્વાસ જીતીને આચર્યું ઘૃણાસ્પદ કૃત્ય

મળતી માહિતી અનુસાર, આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે, જે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. આરોપી હસમુખ પંડ્યાએ સગીરાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર કેળવીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

બાળકીના માતા-પિતા નોકરી કરતા હોવાથી બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવા જવાનો સમય ન મળતો હોવાનો આરોપીએ લાભ લીધો હતો. આરોપીએ બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવાની તેમજ ઘરે રમવા મોકલવાની જવાબદારી સ્વીકારી હતી.

આરોપીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી

ફરિયાદ મુજબ, બનાવના દિવસે આરોપીના પત્ની અને અપરિણીત દીકરો કામથી ઘરેથી બહાર ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે સગીર બાળકી સાથે આ ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં મોટો આઘાત પેદા કર્યો છે.