છોટાઉદેપુર, સકીલ બલોચ :-
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે આજે શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધી છે – શ્રી રૂપવંત સિંઘ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવાડ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર શ્રી રૂપવંત સિંઘના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, ૨૧ વર્ષ પહેલા શરૂ થયેલ શૈક્ષણિકક્રાંતિના આ મહાભિયાનના પરિણામે આજે શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધી છે. પહેલાના સમયમાં દીકરીઓનું શાળાઓમાં ખુબ ઓછું નામાંકન થતું હતું, પરંતુ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થતા દીકરીઓના નામાંકનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
આ તકે શ્રી રૂપવંત સિંઘે ૧૫ કન્યાઓ અને ૨ કુમારોને પાઠ્યપુસ્તક આપીને ધોરણ ૧૧ માં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત શાળાના ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ “બેટી બચાઓ, બેટી પઢાઓ” અને “પાણી બચાવો” વિષયક વક્તવ્ય રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સી.આર.સી. કોર્ડીનેટર મયુરભાઈ ચૌધરી, શાળા આચાર્યશ્રી, ગામના સરપંચ, અગ્રણીશ્રીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.