ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
આછું, ઝાંખું અથવા રતાશ પડતું ચાઠું રક્તપિત્ત હોઇ શકે છે
ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાએ અભિયાનને સફળ બનાવવા કર્યો અનુરોધ
ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ”ની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આ અભિયાનને સફળતાપૂર્વક પાર કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈને રક્તપિત્ત અંગેનો સર્વે કરવા માટે આશાવર્કર અને અન્ય આરોગ્ય કર્મચારીઓ/કાર્યકરોને તાલીમ આપવામાં આવે. રક્તપિત્તને લગતુ સાહિત્ય વેચવામાં આવે તથા લોકોને રક્તપિત્તની સાચી સમજણ આપી જાગૃતિ ફેલાવવામાં આવે તે મુજબ કાર્ય કરવા સૂચનો કર્યા હતા.
જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (Leprosy Case Detection Campaign-LCDC) ની કામગીરી પંચમહાલ જિલ્લામાં તા. ૧૦ જૂન થી ૨૯ જૂન ૨૦૨૪ સુધી આ કામગીરી હાથ ધરાનાર છે.
આ અભિયાન દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ કો-ઓર્ડીનેશન કમીટીની મીટીંગ-તાલીમ, હાઉસ-ટુ-હાઉસ ઝુંબેશ, મોનીટરીંગ અને પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવશે.અભિયાન દરમિયાન ઘરે-ઘરે ફરીને લેપ્રસીના શંકાસ્પદ કેસની તપાસ કરશે. તમામ શંકાસ્પદ કેસનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી દ્વારા લેપ્રસીનું નિદાન કરીને, નિદાન કરેલ તમામ દર્દીઓને તરત જ લેપ્રસીની સારવાર કરવામાં આવશે. હાલ જિલ્લામાં ૧૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ.આર.ચૌધરી,તમામ તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ, સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યશ્રીઓ હાજર રહ્યાં હતા.
રક્તપિત્તની બીમારીના ચિન્હો-લક્ષણો
રક્તપિત્તની બિમારીના લક્ષણોમાં આછું ઝાંખુ રતાશ પડતું સંવેદના વગરના ચાઠા શરીરના કોઈ પણ થાય છે. હાથ પગમાં બહેરાશ (સંવેદનાનો અભાવ) સહિતના છે. જોકે રક્તપિત્તનું સમયસર નિદાન નહીં થવાથી હાથ પગ, આંખમાં વિકૃત્તિ જેમ કે આંગળીઓ વળી જવી, આંખો પૂરી બંધ થાય નહી સહિતની જોવા મળે છે. તમામ સરકારી દવાખાનામાં રક્તપિત્તની સારવાર વિના મૂલ્યે મળે છે. જેને સમયસર સારવાર અને નિદાન કરવાથી રોગ સંપુર્ણથી મટી શકે છે અને વિકૃતિ અટકાવી શકાય છે.