ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૫૬ કેન્દ્રો ખાતે ૧૫૪૮ બ્લોકમાં કુલ-૪૬૦૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૬ ફેબ્રુઆરી થી તા. ૧૮ માર્ચ-૨૦૨૬ દરમિયાન યોજાશે..

આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્બારા ફેબ્રુઆરી/માર્ચ ૨૦૨૬માં ધોરણ ૧૦ એસ.એસ.સી અને ધોરણ ૧૨ એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાશે.
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના ૩૪ પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૭,૭૪૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૮૮ પરીક્ષા બિલ્ડીંગોમાં ૯૨૭ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૬૦૪૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે ૫૧ બિલ્ડીંગમાં ૫૧૬ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે ૨૨૭૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૦૫ બ્લોક નક્કી કરાયા છે.
આમ,પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૫૬ કેન્દ્રો ખાતે ૧૫૪૮ બ્લોકમાં કુલ-૪૬૦૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ જિલ્લાના તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પૂરતા વાહનવ્યવહારની સુવિધા જળવાય,પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.