શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ
વિશ્વ સહીત સમગ્ર ભારતભરમા કોરોના વાયરસે કોહરામ મચાવી દીધો છે. આજે દુનિયાના ખૂણે-ખૂણામાંથી માનવભક્ષી એવા કોરોના વાયરસની બુમો સંભળાઈ રહી છે. વિશ્વના લગભગ દેશોમાં આજદિન સુધી લાખો લોકો કોરોના સક્રમિત બન્યા છે. એજ રીતે પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસોમા ઘટાડો થવાની જગ્યાએ દિન પ્રતિદિન કેસો વધી રહયા છે. આ રોગના કહેરથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ એકમાત્ર પ્રાથમિક ઉપાય સાબિત થયો છે. ત્યારે શહેરાના કાંકરીમા આવેલી સરકારી આઈ.ટી.આઈમા સોશિયલ ડિસ્ટન્સના લીરેલારા ઉડતા જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના કાંકરીમા આવેલી સરકારી આઈ.ટી.આઈમા એડમીશન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી તે સામે એડમીશન ફોર્મ ભરવા આવેલા વિદ્યાર્થીઓ ટોળામા જોવા મળ્યા હતા તેમજ અમુક વિદ્યાર્થીઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. હાલમા કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ મહત્વનુ છે. ત્યારે અહી ભેગા થયેલા વિદ્યાર્થીઓમાં ડિસ્ટન્સ રાખવા માટેની તકેદારી પણ આઈ ટી આઈ પ્રશાસનને લાગતી ન હોય તેમ લાગી રહ્યુ છે. આ રીતેના વિદ્યાર્થીઓ ભેગા થાય ત્યારે કોરોનાના સક્રમણને વધતા પણ નકારી શકાય તેમ નથી.